જનગણના 2027 : જનગણના-સેન્સસ ગુજરાતની નવી વેબસાઈટ ગાંધીનગરમાં લોન્ચ, યુઝર્સને મળશે સરળ એક્સેસ, જાણો ખાસિયત
ડીજીટલાઈઝેશન દરેક ક્ષેત્રમાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાવન ઓનલાઈન બનાવવામાં આવી છે ત્યારે આજે ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં જનગણના-સેન્સસ ગુજરાતની અદ્યતન વેબસાઈટ https://gujarat.census.gov.in/નું લોન્ચિંગ કર્યું હતું. ગુજરાત, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દિવની જનગણના નિયામક કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ વેબસાઈટમાં મોર્ડન એલિમેન્ટ્સ, ઇઝી મેનુ અને મલ્ટીલેંગ્વેજ ફંકશન સાથે યુઝર્સને સરળ એક્સેસ મળશે.

ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી વર્ષ 2011માં હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે જનગણની તમામ માહિતી ઓનલાઈન ઉપલબદ્ધ થઈ શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વેબસાઈટનું લોન્ચિંગ કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનકલ્યાણની દરેક યોજનાઓના અસરકારક અમલ અને આયોજનથી સંતુલિત વિકાસનો જે ધ્યેય રાખ્યો છે તે જનગણનાથી જનકલ્યાણની ટેગ લાઈનને સુસંગત છે. નવી વેબસાઈટ લોન્ચિંગથી એને વધુ બળ મળશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ આ વખતે દેશની આગામી જનગણના 2027 અંતર્ગત પ્રથમ વખત મોબાઇલ એપ્લિકેશન દ્વારા સંપૂર્ણપણે ડિજિટલ રીતે હાથ ધરવામાં આવી રહી છે તેની સરાહના કરતા કહ્યું હતું કે, નાગરિકો વેબ પોર્ટલ દ્વારા સુરક્ષિત રીતે તેમનો ડેટા સબમિટ કરી શકે તે માટે પ્રથમ વખત, સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વ-ગણતરી સુવિધા પણ રજૂ કરવામાં આવી રહી છે. તેનાથી પાયલટ પ્રોજેક્ટમાં પસંદ થયેલા જિલ્લાઓમાંથી ફર્સ્ટ હેન્ડ એક્સિપિરિયન્સ મળશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનગણના-સેન્સસ ગુજરાતની અદ્યતન વેબસાઈટ https://t.co/WShWEH9Fzh નું નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે લોન્ચિંગ કર્યું હતું.
— CMO Gujarat (@CMOGuj) November 10, 2025
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ… pic.twitter.com/yvitMAq3eI
રાજ્યના જનગણના નિયામક સુજલ મયાત્રાએ આ વેબસાઈટની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું કે, આગામી 2027ની જનગણના માટે રિહર્સલ હાથ ધરવામાં આવ્યું છે અને વિવિધ મોબાઇલ એપ્સનો ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ જનગણના 2027ના પ્રિ-ટેસ્ટ માટે ગુજરાતના સુરત મહાનગરપાલિકાના 133 બ્લોક, દાહોદના દેવગઢબારિયા તાલુકાના 26 ગામોના 70 બ્લોક અને મોરબીના ટંકારા તાલુકાના 25 ગામોના 60 બ્લોક પસંદ કરવામાં આવ્યા છે. આ પસંદ કરાયેલા વિસ્તારોમાં જે પ્રિસ્ટેસ કામગીરી 10 થી 30 નવેમ્બર હાથ ધરવાની છે તેની જાણકારી પણ જનગણના નિયામકે આપી હતી.
આ વેબસાઈટ લોન્ચિંગ અવસરે મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને જનગણના નિયામક કચેરી ગુજરાતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
