તૂટેલા રમકડાં-રૂમાલથી બંધ દ્વાર…80 હજાર વસ્તી સામે માત્ર 14 આંગણવાડી! રાજકોટના કોઠારીયા વિસ્તારમાં બાળકો ભોગવે છે બેદરકારી
રાજકોટનાં વોર્ડ નં. 18 સ્થિત કોઠારીયા વિસ્તારમાં આંગણવાડીઓની ગંભીર સમસ્યાઓ સામે આવી છે. વધતી વસ્તી સામે આંગણવાડીઓની ઓછી સંખ્યા, અપૂરતું ભોજન, તૂટેલી ઇમારતો, પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ અને બાળકો માટે બેસવા-વાંચવા જેવી જરૂરી વ્યવસ્થાની કમી વચ્ચે નાનાં બાળકોનાં પોષણ અને પ્રાથમિક શિક્ષણ માટે મહત્વપૂર્ણ ગણાતી આંગણવાડીઓ જ અવ્યવસ્થિત હાલતમાં જોવા મળતાં સમગ્ર મુદ્દે પ્રશ્નો ઊભા થયા છે.

આપની વિદ્યાર્થી પાંખ ASAPના પ્રદેશ મહામંત્રી સુરજ બગડા તથા કાર્યકરો કલાપી વોરા, મિલન બોરસદીયા અને કેવલ સાવલીયાએ કોઠારીયા વિસ્તારમાં આવેલી ચાર આંગણવાડીઓની ઓચિંતી મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન આંગણવાડીઓની સ્થિતિ દયનીય જોવા મળતાં સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.સુરજ બગડાનાં જણાવ્યા મુજબ, આશરે 80 હજારની વસ્તી ધરાવતા કોઠારીયા વિસ્તારમાં માત્ર 14 આંગણવાડીઓ કાર્યરત છે, જે વસ્તી પ્રમાણમાં ખૂબ જ ઓછી છે.
નારાયણનગર સ્થિત એક આંગણવાડીમાં પ્રવેશદ્વાર રૂમાલથી બાંધેલો જોવા મળ્યો હતો. પીવાના પાણી માટે કૂલર તો છે, પરંતુ તેમાં પાણીની લાઇન જ જોડાયેલ નથી. 80 બાળકો સામે માત્ર 40 બાળકો પૂરતું જ ભોજન આપવામાં આવે છે. રમકડાં તૂટેલી હાલતમાં છે, બાથરૂમનો દરવાજો ખંડેર સમાન છે અને 80 બાળકો સામે માત્ર 30 જેટલા પુસ્તકો તથા 40 ખુરશીઓ ઉપલબ્ધ છે.બીજી એક આંગણવાડી 10 બાય 10ના ભાડાના રૂમમાં ચાલી રહી છે, જ્યાં 75 બાળકો માટે પૂરતી જગ્યા નથી અને કેટલાક બાળકોને ઉભા રહેવું પડે છે. ત્રીજી આંગણવાડી છેલ્લા 20 વર્ષથી ભાડાના નાના મકાનમાં કાર્યરત છે, જ્યાં 105 બાળકો ભણે છે, પરંતુ બેસવાની યોગ્ય વ્યવસ્થા નથી.

ગુલાબનગરની આંગણવાડીમાં લાદીઓ તૂટેલી છે, બાથરૂમનો દરવાજો ખરાબ હાલતમાં છે અને અહીં પણ પીવાના પાણીની યોગ્ય સુવિધાનો અભાવ છે.આપના નેતાઓએ આ પરિસ્થિતિને “શિક્ષણમાં વિકાસ માત્ર કાગળ પર” ગણાવી સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે તાત્કાલિક નવી આંગણવાડીઓ શરૂ કરવાની, હાલની આંગણવાડીઓમાં સમારકામ કરવાની અને બાળકોને પૂરતું પોષણયુક્ત ભોજન તથા મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠાવી છે.
