ભાવનગર : લાડી લેવા જાન નીકળે એ પહેલા જ બસમાં આગ ભભૂકી, જાનૈયાઓનો આબાદ બચાવ ; બસ બળીને ખાક
ભાવનગરમાં બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં જાનૈયાઓની બસમાં આગ લાગતાં નાસભાગ થઈ હતી. ખાનગી ટ્રાવેલ્સની બસ ભડકે બળતા જાનૈયાઓના જીવ જોખમમાં મુકાયા હતા. જાનૈયાઓ બેસવાની તૈયારીમાં હતા ને એન્જિનમાં સ્પાર્ક થયો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે ઘટના જાણ ફાયરની ટીમને થતાં તાત્કાલિક બનાવસ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી. PSI સહિતના અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી.

મળતી વિગતો અનુસાર આ ઘટના ભાવનગર જિલ્લાના સિહોર પાસે બની હતી. ઘટના વિશે વિસ્તારથી વાત કરીએ તો જિલ્લાના શિહોર તાલુકાના બજુડ ગામમાં આજે સવારે પટેલ પરિવારના લગ્ન પ્રસંગે ગારીયાધાર જવા માટે આવેલી ભૂમિ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગામના પાદરમાં ઊભેલી બસમાં જાનૈયાઓ બેસવાની તૈયારી કરી રહ્યા હતા, તે દરમિયાન બસના એન્જિનમાં સ્પાર્ક થતાં આગ ભભૂકી ઊઠી હતી. સદનસીબે, સમયસૂચકતા દાખવીને તમામ જાનૈયાઓ બસમાંથી સલામત બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ જાનહાની થવા પામી ન હતી.

જાનૈયાઓનો બચાવ, બસ બળીને ખાખ
ઘટનાની જાણ થતાં જ સોનગઢ પોલીસ અને સિહોર ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગમાં બસ સંપૂર્ણપણે સળગી ગઈ હતી. સોનગઢ પોલીસ સ્ટેશનના PSI સહિતના અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી. ભૂમિ ટ્રાવેલ્સના સંચાલકોએ તાત્કાલિક જાનૈયાઓ માટે વૈકલ્પિક બસની વ્યવસ્થા કરી આપી હતી, જેથી લગ્ન પ્રસંગમાં કોઈ વિક્ષેપ ન પડે.