આસોમાં અષાઢ : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ,રાજકોટ સહિત આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
એક તરફ નૈઋત્યના ચોમાસાની વિદાય ધીમે-ધીમે આગળ ધપી રહી છે તેવા સમયે જ બંગાળની ખાડી અને અંદમાનના દરિયામાં વરસાદી સિસ્ટમ ઉદભવતા સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બેથી ત્રણ દિવસથી શરૂ થયેલા વરસાદના આ રાઉન્ડમાં સોમવારે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ દે ધનાધન એકથી ચાર ઈંચ વરસાદ વરસાવ્યો હતો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં સાંજ સુધીમાં રાહત જોવા મળી હતી.જો કે, આજે અને આવતીકાલે રાજકોટ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે.
આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આ વર્ષે ચોમાસાના સમયસર પ્રારંભ બાદ નૈઋત્યના ચોમાસાની વિદાય વખતે જ મેઘરાજા ફરી સક્રિય બની વરસી રહ્યા છે.હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે આગાહી કરી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ અને બાદમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં આજે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવ માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ જામનગર, અમરેલી અને કચ્છ માટે વરસાદનું યલો એલર્ટ આપી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી,વલસાડ તેમજ મોરબી અને બોટાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો :10 વર્ષથી જુના આધાર કાર્ડ અપડેટ કરવા ફરજિયાત : UIDAIએ જાહેર કર્યા નવા નિયમો, જાણો સરનામું અપડેટ કરવા માટે શું જોશે?
છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ
દરમિયાન છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં મેઘરાજા વરસ્યા. 100 હોવાનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા જણાવી રહ્યા છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં 4 ઇંચથી વધુ નોંધાયો હતો. તાલાલામાં 2.2 ઈંચ, કેશોદમાં 2.1 ઈંચ, માળિયા હાટીનામાં 2.1 ઈંચ, ઉનામાં 2 ઈંચ, પાટણ-વેરાવળમાં 1.5 ઈંચ, સૂત્રાપાડામાં 1.4 ઇંચ, દેવભૂમિ દ્વારકામાં 1.1 ઈંચ, ખેડબ્રહ્મામાં 1.1 ઈંચ, કોડીનારમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જેમાં 41 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. એટલે કે આ તાલુકાઓમાં 1-2 એમએમ વરસાદ નોંધાયો હતો.
