આ તારીખ આસપાસ વાતાવરણ પલટાશે અને વરસાદ આવશે
કાળઝાળ ગરમી વચ્ચે ઠંડક આપે તેવી હવામાન નિષ્ણાંતની આગાહી
બંગાળના ઉપસાગરમાં ૧૬મેથી હલચલ દેખાશે અને ૨૪ મે સુધીમાં ચોમાસુ આંદામાન સુધી પહોચી જશે.
એક તરફ ગુજરાત આસપાસ ચાર જુદી જુદી સિસ્ટમ બની રહી હોવાથી શનિવારથી ચાર દિવસ માટે જુદા જુદા વિસ્તારમાં માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ હવામાન નિષ્ણાંતે હાલની કાળઝાળ ગરમીમાં ઠંડક આપે તેવી આગાહી કરી છે. આ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ૮ જુન આસપાસ વાતાવરણ પલટાશે અને આંધી – વંટોળ સાથે વરસાદની શરૂઆત થશે. આજે અખાત્રીજના દિવસે જ રાજ્યમાં ચોમાસું વહેલું અને સારૂ રહેવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવાયું છે કે, ગુજરાતનાં અનેક ભાગોમાં 106 ટકા વરસાદ જોવા મળશે. તેમજ ગુજરાતમાં સરેરાશ 700 મિલી મીટર કરતા વધારે વરસાદ થશે. મે ના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં 16 મે થી હલચલ જોવા મળશે. તેમજ 24 મે સુધી આંદામાન નિકોબાર ટાપુ સુધી ચોમાસું પહોંચી જશે.
અખાત્રીજને લઈ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અખાત્રીજનાં દિવસે પવન જોવાની પરંપરા છે. આ વખતે અખાત્રીજનાં પવનમાં નૈઋત્યનાં પવન મળ્યા છે. જેથી ચોમાસુ વહેલુ આવવાની શક્યતા છે. અને રોહિણી નક્ષત્રમાં પણ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે.