તમારા વિસ્તારના આવારા તત્ત્વોથી છો પરેશાન ?? આ નંબર પર કરો ફોન, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કરશે તમારી મદદ
રાજકોટ જિલ્લામાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ ચોરી, લૂંટફાટ, હત્યા અને છેડતી જેવા બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આવારાતત્વો સામે પગલાં લેવા માટે રાજ્ય પોલીસ વડા દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે લુખ્ખા તત્વો સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં રાજકોટની જનતા માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
ગુનેગારોથી પરેશાન લોકોને રજૂઆત કરવા માટે નંબર જાહેર કર્યો
રાજકોટમાં ગુન્હાખોરી અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે જેમાં ક્રાઈમ બ્રાંચે લુખ્ખાગીરી, ગુનેગારોથી પરેશાન લોકોને રજૂઆત કરવા માટે નંબર જાહેર કર્યો છે. આ હેલ્પલાઇન નંબર છે 6359625365 જેના પર કોઈપણ નાગરિક પોતાની સમસ્યા વિશે વર્ણવી શકે છે. કોઈ પણ જાગૃત નાગરિક આ હેલ્પલાઇન નંબર પર લુખ્ખા તત્વોના ફોટા અને વીડિયો સાથે પોતાની ફરિયાદ નોંધાવી શકશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ તમામ ફરિયાદોની ગંભીરતાથી નોંધ લેવામાં આવશે અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.
મારી ફરિયાદ પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે
જો તમે પણ તમારા આસપાસના વિસ્તારમાં કોઈ લુખ્ખા તત્વોને જોતા હોવ અથવા તેમના દ્વારા કોઈ હેરાનગતિનો અનુભવ કરતા હોવ, તો નિઃસંકોચ આ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી શકો છો. તમારી ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને તમારી ફરિયાદ પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવેલી આ વિશેષ જુબેશ સમાજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદૃઢ કરવામાં મદદરૂપ સાબિત થશે. જાગૃત નાગરિકોના સહયોગથી ભયમુક્ત સમાજનું નિર્માણ શક્ય બનશે.