નવરાત્રિમાં ફરીએક વાર સામૂહિક દુષ્કર્મની ઘટના : સુરતના બોરસરા ગામે નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી નાખી
હાલ નવરાત્રિ ચાલી રહી છે. નવરાત્રિમાં માતાજીની પૂજા કરવામાં આવે છે. દીકરીઓને માતાજીનું સ્વરૂપ ગણવામાં આવે છે. ગુજરાતમાં મોડે સુધી ગરબા રમવાની છૂટ આપવામાં આવી છે જેમાં બહેનો દીકરીઓની સુરક્ષા માટે પોલીસ દ્વારા બણગા ફુંકવામાં આવે છે. ત્યારે દીકરીઓ ખરેખર સુરક્ષિત છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. હજુ તો વડોદરામાં ગેંગરેપની ઘટનાના પડઘા શમ્યા નથી ત્યાં સુરતમાં પણ નવરાત્રિ દરમિયાન દુષ્કર્મની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મિત્ર સાથે બેઠી હતી ત્યારે નરાધમોએ સગીરાનો દેહ પીંખી નાખ્યો હતો. હાલ આ ઘટનાની તપાસમાં જિલ્લા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સહિત ડૉગ સ્ક્વૉડ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના સુરતના મોટા બોરસરા નજીકની છે જ્યાં વડોદરા જેવી જ પર્ટનથી સગીર પર નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. બીજા નોરતે વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપ બાદ હવે ગૃહ રાજ્યમંત્રીના ગૃહ જિલ્લામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બનતાં ગુજરાતમાં આક્રોશ છે. સુરત જિલ્લાના મોટા બોરસરા ગામે નજીક સામુહિક દુષ્કર્મની ઘટના બની છે. સગીરા તેના મિત્રા સાથે જઇ રહી હતી ત્યારે તેની સાથે દુષ્કર્મ થયું હતું. સગીરા મિત્ર સાથે હતી તે સમય દરમ્યાન અવાવરું જગ્યાએ ત્રણ જેટલા નરાધમો આવી પહોંચ્યા હતા અને સગીરાના મિત્રને માર માર્યો હતો. અને ત્યારબાદ સગીરા સાથે અજાણ્યા લોકોએ દુષ્કર્મ આચર્યું હતું.
નરાધમોએ સગીરા સાથેના યુવકને માર મારી ભગાડી દીધો હતો. જે બાદ સગીરાને નજીકમાં અવાવરુ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતુ. ઘટનાની જાણ થતા સુરત જિલ્લા રેન્જ IG, સુરત જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે હાલ વધુ તપાસ માટે પોલીસે DOG સ્કોડની મદદ લીધી છે. સમગ્ર મામલે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે.
વડોદરાના ભાયલીમાં દુષ્કર્મ કેસમાં પોલીસે 1000 CCTV કર્યા ચેક
વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપમાં સંડોવાયેલા તમામ આરોપીઓને દબોચી લેવામાં પોલીસને સફળતા મળી છે. તમામ આરોપીઓની પોલીસે અટકાયત પણ કરી લીધી હોવાનો સૂત્રોએ દાવો કર્યો હતો. બપોર બાદ પોલીસ પ્રેસ કોન્ફરન્સ યોજી સત્તાવાર જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે ચકચારી ગેંગરેપ કેસમાં સરકારે ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી હતી.