રાજકોટ TRP અગ્નિકાંડના વધુ એક આરોપીને મળ્યા જામીન : પ્લોટના માલિક અશોકસિંહ જાડેજાના જામીન સુપ્રિમ કોર્ટે કર્યા મંજૂર
રાજકોટ TRP ગેમઝોનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જ TRP અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા ત્યારે આજે વધુ એક આરોપીને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે અશોકસિંહ જાડેજાની જામીન અરજી મંજૂર કરી હતી. અશોકસિંહ જાડેજા જમીનના માલિક સાથે 5%ના ભાગીદાર હતા. અગાઉ પૂર્વ TPO મનસુખ સાગઠિયાને પણ જામીન મળ્યા હતા.
રાજકોટ TRP અગ્નિકાંડ જે ઘટના આજે પણ રાજકોટવાસીઓ ભૂલી શક્યા નથી. 25 મે-2024નો એ ગોઝારો દિવસ કે જ્યારે નાનામવા રોડ પર આવેલા TRP ગેઈમ ઝોનમાં આગ ફાટી નીકળતા 27 લોકોના કરુણ મૃત્યુ નિપજ્યા હતા. આ કેસમાં 16 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાંથી એકનું મોત થતા 15 વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી હતી. ત્યારે આજે રાજકોટ ટીઆરપી ગેમઝોનના જમીનના માલિક અશોકસિંહ જાડેજાના જામીન સુપ્રિમે મંજૂર કર્યા છે. તેઓ 5%ના ભાગીદાર હતા.
આ પણ વાંચો :રાજકોટ TRP અગ્નિકાંડ : સાગઠિયાને જામીન મળ્યાપણ જેલમાંથી મુક્તિ નહીં મળે,જાણો સાગઠિયાએ શું દલીલ કરી, કેસમાં અત્યાર સુધી શું થયું?
આ પહેલા પણ 15 દિવસણા વચગાળાના જામીન મંજૂર થયા હતા
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં જમીન માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાના વચ્ચગાળાના 48 કલાકના જામીન મંજૂર થયાં હતા. આજથી આશરે 9 મહિના પહેલા બંને ભાઈઓએ ભત્રીજાના લગ્ન માટે વચ્ચગાળાના 15 દિવસના જામીન આપવા માંગણી કરી હતી પણ તે માંગણી કોર્ટે ફગાવી દીધી હતી અને 48 કલાકના જામીન આપી સ્વ ખર્ચે પોલીસ જાપ્તો રાખવા હુકમ કર્યો હતો.
મનસુખ સાગઠિયાના જામીન મંજૂર
2 સપ્ટેમ્બર 2025ણા રોજ રાજકોટ મહાપાલિકાના તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાને ગેઈમ ઝોન અગ્નિકાંડ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. એમ.ડી.સાગઠિયાના જામીન મંજૂર થયા એટલે એવી વાતે જોર પકડી લીધું હતું કે હવે તે જેલમાંથી છૂટી જશે પરંતુ એવું નથી. સાગઠિયાએ હજુ ત્રણ મોટા ગુનાનો સામનો કરવો પડશે. ગેઈમ ઝોનના ચેકિંગમાં લાપરવાહી બદલ ગુનો નોંધાયા બાદ તે ગુનામાં જામીન મળ્યા છે પરંતુ ત્યારબાદ સાગઠિયા એન્ડ ટોળકીએ તૈયાર કરેલી મિનિટસ બુક કે જેમાં ગેઈમ ઝોન સામે ક્યારે અને શું કાર્યવાહી કરી તેની નોંધ હોય તેના સાથે ચેડાં કરવાનો ગુનો અલગથી ક્રાઈમ બ્રાન્ચે નોંધ્યો હોય તે ગુનામાં હજુ સાગઠિયાને જામીન મળ્યા નથી. આ ઉપરાંત એન્ટી કરપ્શન બ્યુરો(ACB) દ્વારા સાગઠિયા સામે અંદાજે 28 કરોડ જેટલી બેનામી સંપત્તિ એકઠી કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેનો પણ હજુ તેણે સામનો કરવો પડશે.
