અંકલેશ્વર : GIDCમાં ડેટોકસ ઇન્ડિયા નામની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ,4 કામદારોના ઘટનાસ્થળે જ નિપજ્યાં મોત
અંકલેશ્વરથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એકવાર ઔદ્યોગિક દુર્ઘટના બની છે જેમાં ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં ચાર કામદારનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય કામદારો ઇજાગ્રસ્ત થયા છે.તમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કંપનીમાં બ્લાસ્ટ થતાં ફાયરની ટીમ અને પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, અંકલેશ્વર GIDCમાં ડેટોક્સ ઈન્ડિયા નામની કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન જ સ્ટીમ પ્રેશર પાઈપ ફાટી હતી જેના પગલે નજીકમાં કામ કરતાં ચાર કામદારો ઘટનાસ્થળે મૃત્યુ પામી ગયા હતા. આ મામલે ફેક્ટરી ઈન્સપેક્ટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન એવા સવાલો ઊઠવા લાગ્યા છે કે અનેકવાર આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે સુરક્ષાના ધોરણોને ધ્યાનમાં કેમ રાખવામાં આવતા નથી. વહીવટીતંત્ર આ મામલે કોઇ મજબૂત કાર્યવાહી કેમ નથી કરતું? કે જેથી કરીને શ્રમિકોના જીવ બચાવી શકાય.

આ બનાવની જાણ થતા જ તંત્ર દોડતું થયું હતું. જેમાં ફાયર ફાયટરો સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમો તેમજ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે .બ્લાસ્ટની માહિતી મળતા જ બહાર લોકોના ટોળા તથા કામદારોના પરિવારજનો પણ કંપની બહાર એકઠા થયા હતા. હાલ વહીવટી તંત્ર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે હાલના તબક્કે ચારના મોત જ્યારે કેટલાકને ઇજા થતાં ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.