વકીલોનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યના તમામ બાર એસો.બનશે હાઈટેક: આધુનિકીકરણ-ડિજિટલાઇઝેશન માટે ₹1.75 કરોડની વિશેષ ગ્રાન્ટ જાહેર
અંદાજે 1.25 લાખથી વધુ વકીલોનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યના તમામ બાર એસોસિએશનને આધુનિક અને હાઈટેક બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 1.75 કરોડ રૂપિયાની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. રાજ્ય સરકારે વકીલોના વેલ્ફેર ફંડ માટે 5 કરોડની ફાળવણી અને 280 થી વધુ બાર એસોસિએશનના ડીજીટલાઈઝેશન માટે 1.75 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે પટેલે જણાવ્યું હતું કે, આ યોજના માત્ર ટેકનોલોજી અપગ્રેડ નથી, પરંતુ સમગ્ર વકીલ સમાજને ગ્લોબલ સ્ટાન્ડર્ડની ડિજિટલ સગવડો સાથે જોડવાનો દ્રઢ સંકલ્પ છે. તેમણે ઉમેર્યું કે, ગ્રાન્ટનો ઉપયોગ પારદર્શક અને તબક્કાવાર રીતે કરવામાં આવશે જેથી દરેક બાર એસોસિએશનને સમાન લાભ મળે.
યોજનાના અંતર્ગત દરેક બાર એસોસિએશનને હાઇ-લેવલ બેક ઓફિસ સોફ્ટવેર આપવામાં આવશે, જેના કારણે સભ્ય નોંધણી, ફી મેનેજમેન્ટ, દસ્તાવેજ સંભાળ અને આંતરિક વહીવટ વધુ વ્યવસ્થિત અને સુરક્ષિત બનશે. અત્યાર સુધી મેન્યુઅલ પ્રક્રિયામાં થતી મુશ્કેલીઓ અને વિલંબને ઘટાડીને સમગ્ર સિસ્ટમને ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવામાં આવશે.
દરેક એડવોકેટ સભ્ય માટે સમર્પિત મોબાઈલ એપ વિકસાવવામાં આવશે, જેમાં કેસ મેનેજમેન્ટ, ક્લાયન્ટ ડેટા મેનેજમેન્ટ, ઓનલાઇન પેમેન્ટ, નોટિસ એલર્ટ, હિયરીંગ અપડેટ્સ સહિત 100થી વધુ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ એપ દ્વારા વકીલો પોતાની પ્રેક્ટિસને વધુ સક્ષમ અને વ્યવસ્થિત રીતે સંભાળી શકશે.
ટેકનોલોજીના નવા યુગને ધ્યાનમાં રાખીને AI આધારિત સેવાઓ પણ ઉમેરવામાં આવશે. LegalGPT, AI ડ્રાફ્ટિંગ ટૂલ, કેસ સમરી જનરેશન અને ડોક્યુમેન્ટ ટ્રાન્સલેશન જેવી સુવિધાઓ વકીલોને ઝડપી અને ચોક્કસ કામગીરીમાં મદદરૂપ બનશે. ખાસ કરીને યુવા વકીલો માટે આ ટેકનોલોજી માર્ગદર્શક સાબિત થશે.
ડિજિટલ કનેક્ટિવિટીને મજબૂત બનાવવા માટે દરેક બાર એસોસિએશનને પોતાની સત્તાવાર વેબસાઇટ આપવામાં આવશે. સાથે જ સિનિયર વકીલો દ્વારા માર્ગદર્શન અને કાનૂની ચર્ચાઓ માટે ઈ-વિડિયો ચેનલ શરૂ કરવામાં આવશે, જે કાયદાકીય જ્ઞાનના વહેંચાણ માટે એક મજબૂત પ્લેટફોર્મ સાબિત થશે.
રાજ્યના કાયદા મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, સરકારનો ઉદ્દેશ વકીલ સમાજને માત્ર આર્થિક સહાય પૂરતી મર્યાદિત રાખવાનો નથી, પરંતુ તેમને ટેકનોલોજીકલ રીતે સશક્ત બનાવી ન્યાય પ્રણાલીને વધુ ઝડપી અને પારદર્શક બનાવવાનો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પહેલથી ગુજરાતની ન્યાયિક વ્યવસ્થામાં ગુણાત્મક પરિવર્તન આવશે.
