નશાકારક સિરપ બાદ હવે ચોકલેટ, જામનગરમાં 34 હજારની નશાવાળી ચોકલેટ પકડાઈ
બે પાનની દુકાન અને સપ્લાયરને ત્યાં એસઓજીનો દરોડો
જામનગરમાં એસઓજીએ ત્રણ સ્થળો પર દરોડા પાડી રૂ. 34 હજારની કિંમતની 21,805 નંગ શંકાસ્પદ લાગતી નશાકારક ચોકલેટનો જથ્થો કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
નશાકારક સીરપ બાદ નશાકારક ચોકલેટ બજારમાં મળી આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. નશાના રવાડે ચાડેલા લોકો માટે અગાઉ નશાકારક સીરપ કે જે આર્યુવેદિક સીરપના ઓઠા હેઠળ પાન મસાલાની દુકાનમાં મળતી હતી. ત્યાર બાદ પોલીસે ધોંસ બોલાવતા હવે નશાકારક ચોકલેટ બજારમાં આવી છે. જામનગર એસઓજીને મળેલી બાતમીના આધારે જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બે પાનની દુકાનો અને તેને ત્યાં ચોકલેટ વિતરણ કરતા શખ્સના ગોડાઉનમાંથી કુલ રૂપિયા 34,305ની કિંમતની 21,805 નંગ નશાકારક ચોકલેટનો જથ્થો એસઓજીએ કબજે કરી એફએસએલમાં તપાસ અર્થે મોકલાવ્યો છે.
દિગ્વિજય પ્લોટ 58 વિસ્તારમાં આવેલા ઉમંગ પાન એન્ડ કોલ્ડ્રિંગ્સ, પાયલ પાનની બંને દુકાનો ઉપરાંત પાન મસાલાની દુકાનમાં ચોકલેટ સપ્લાય કરતા રામશીભાઈ લાખાભાઈ ગોજીયાના રહેણાક મકાનમાં જુદા-જુદા નામ અને લેબલ લગાવેલી નશાકારક ચોકલેટ વેચાતી હતી. આર્યુવેદિક સીરપ બાદ હવે ચોકલેટમાં નશાયુક્ત પદાર્થો વેચતા હોય જેને લઈ પોલીસ પણ હવે સફાળી જાગી છે અને નશાના કાળા કારોબાર ઉપર ધોંસ બોલવાની શરૂ કર્યું હતું.