ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ રાજકારણમાં કેસરિયા કર્યા છે. સ્ટાર ક્રિકેટરની પત્ની રીવાબા જાડેજા પહેલાથી જ ગુજરાતના જામનગરથી ભાજપના ધારાસભ્ય છે. તેઓ પત્ની રિવાબાના પ્રચારમાં જોવા મળતા જ હતા ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના સભ્ય બન્યા છે. હાલમાં જ રીવાબાએ સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કર્યા હતા અને કહ્યું હતું કે રવિન્દ્ર જાડેજા સત્તાવાર રીતે ભાજપના સભ્ય બની ગયા છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું જેના સભ્ય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા પણ બન્યા છે. જાડેજાનું ભાજપમાં જોડાવું આશ્ચર્યજનક નથી કારણ કે તેઓ ઘણી વખત તેમની પત્ની સાથે ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ ચૂક્યા છે. તેઓ ચૂંટણી દરમિયાન ભાજપના પ્રચારમાં સક્રિય રીતે સામેલ હતા અને ઘણા રોડ શોમાં ભાગ લીધો હતો. રિવાબા જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય છે. હવે રવિન્દ્ર જાડેજા ભાજપમાં જોડાતા તેમની રાજકીય ભાગીદારી વધુ મજબૂત બની છે.
🪷 #SadasyataAbhiyaan2024 pic.twitter.com/he0QhsimNK
— Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) September 2, 2024
રીવાબા જાડેજા ભાજપની ટિકિટ પર વિધાનસભામાં ચૂંટાયા હતા. તેઓ જામનગર ઉત્તરમાંથી ધારાસભ્ય બન્યા હતા. દરમિયાન, રવીન્દ્ર જાડેજાનો જન્મ 6 ડિસેમ્બર 1988ના રોજ ગુજરાતના જામનગરમાં થયો હતો. તેના પિતા ઇચ્છતા હતા કે રવિન્દ્ર ભારતીય સેનામાં જોડાય, પરંતુ તેણે ક્રિકેટર બનવાનું નક્કી કર્યું.રવિન્દ્ર અને રીવાબાના લગ્ન 2016માં થયા હતા. તેમને નિધયાના નામની પુત્રી છે.
ટીમ ઈન્ડિયા માટે જાડેજાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. તેનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ સારો રહ્યો છે. જાડેજાએ T20 વર્લ્ડ કપ 2024 પછી T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જાડેજાએ ભારત માટે 74 ટી20 મેચ રમી છે. આ દરમિયાન 515 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 54 વિકેટ પણ લીધી છે. જાડેજાનું એક મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 15 રનમાં 3 વિકેટ લેવાનું રહ્યું છે. જાડેજા હજુ પણ ભારત માટે વનડે અને ટેસ્ટ રમશે. તેની સાથે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ ટી20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.