કેશોદ એરપોર્ટ પરથી AB-320 ટાઇપના વિમાનો ઉડાન ભરશે : રનવે 2500 મીટર સુધી લંબાવવામાં આવશે, જાણો કેટલો થશે ખર્ચ
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ મોટા AB-320 પ્રકારના વિમાનોના સંચાલનને સરળ બનાવવા માટે ગુજરાતના કેશોદ એરપોર્ટના રનવેને 2500 મીટર સુધી લંબાવવાનું કામ હાથ ધર્યું છે. AAI એ અંદાજિત રૂ. 364 કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટના વિકાસનું કામ હાથ ધર્યું છે. આ માહિતી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે 5 ઓગસ્ટ 2025ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા કેશોદ એરપોર્ટના વિસ્તરણ યોજનાઓ પર પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં આપી હતી.

મંત્રીના નિવેદન મુજબ, રનવે વિસ્તરણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 190.56 કરોડ છે અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા 18 મહિના નક્કી કરવામાં આવી છે અને પૂર્ણ થવાની અંદાજિત તારીખ જાન્યુઆરી 2027 છે. AAI એ અંદાજિત કુલ રૂ. 364 કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટના વિકાસનું કામ પણ હાથ ધર્યું છે, જેમાં રૂ. 142.17 કરોડના ખર્ચે નવા ટર્મિનલ બિલ્ડિગનું નિર્માણ શામેલ છે. 6500 ચોરસ મીટરનું નવું ટર્મિનલ બિલ્ડિગ એક સાથે 400 આગમન અને 400 નિર્ગમન કરતા મુસાફરોની સુવિધા સાચવી શકે તે રીતે તૈયાર કરવામાં આવશે. નવા ટર્મિનલ બિલ્ડિગના નિર્માણ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા વર્ક ઓર્ડર આપવાની તારીખથી 15 મહિનાની છે.
આ પણ વાંચો : રાજકોટમાં જાપ્તા અને જેલ વચ્ચે બીમાર કેદીઓને મળે છે ‘ખો’! બન્ને વિભાગના છલક છલાણા વચ્ચે સારવાર વાંકે દર્દી કણસે જેવી સ્થિતિ ?
કેશોદ એરપોર્ટ પર ચાલી રહેલા વિસ્તરણના મહત્વ પર પ્રકાશ પાડતા, પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, “કેશોદ એરપોર્ટને મોટા બોડીવાળા વિમાનોના સંચાલન માટે અપગ્રેડ કરવાથી, વિશ્વભરના વન્યજીવ ઉત્સાહીઓ માટે વિશ્વમાં એકમાત્ર જગ્યાએ વસવાટ કરતા એશિયાટિક સિહોને જોવા માટે ગીર નેશનલ પાર્કની મુસાફરી કરવી સરળ બનશે. આ ઉપરાંત, સોમનાથ મંદિર બાર જ્યોતિર્લિગોમાં એક વિશેષ સ્થાન ધરાવે છે અને કેશોદ એરપોર્ટ ભારત તેમજ વિદેશથી આવતા ભગવાન શિવના ભક્તોને આ પ્રખ્યાત મંદિરની મુલાકાત લેવામાં ઘણી સરળતા કરી આપશે.’
