ટ્રેનમાંથી બોટલનો ઘા થતા શાપર-વેરાવળના તરૂણનું મોત: બોટલ ફેંકનાર ટ્રેનના લોકો પાઇલોટની ધરપકડ
શાપર-વેરાવળમાં ચાલુ ટ્રેને કોઈએ પાણીની બોટલ ફેંકતા રેલવે ટ્રેક પાસે ઉભેલા 14 વર્ષના બાળકને લાગતા તેનું મોત નિપજ્યાની ઘટનામાં શાપર (વેરાવળ) પોલીસે સીસીટીવીના ફૂટેજ મેળવી તલસ્પર્શી તપાસ કરતાં બાળકના મોત માટે નિમિત્ત કે આરોપી ટ્રેનનો જ આસિસ્ટન્ટ લોકો પાઈલોટ નીકળતા તેની ધરપકડ કરવામાં આવી છે. ગત તા.1ના રોજ આ ઘટના બની હતી.
મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લાના ચાંદીયા તાલુકાના કાવડિયા ગામનો વતની બાદલસીંગ સંતોષસીંગ ગોડઠાકર (ઉ.વ.14 ) વેરાવળ (શાપર) માં ગણેશનગર નજીક પરિવાર સાથે રહેતો હતો. ગત તા.1ના રોજ બપોરના પોણા ત્રણેક વાગ્યાના સમયે બાળક તેના અન્ય સાથી મિત્રો સાથે ઓમ રીંગ નામના કારખાના પાસેના રેલવે ટ્રેક નજીક ઉભો હતો. એ દરમિયાન ગોંડલથી રાજકોટ જતી ટ્રેનમાંથી પાણી ભરેલી પ્લાસ્ટિકની બોટલનો ઘા થયો હતો અને સીધી બાળક બાદલસીંગના છાતીના ભાગે લાગતા ગંભીર રીતે ઘવાયો હતો. સારવારમાં લઈ જતાં મોત નિપજ્યું હતું. જે બાબત શાપર પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.
ઘટના સંદર્ભે શાપર-વેરાવળના પીઆઈ આર. બી. રાણા તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી. ઓમ રીંગ નામની ફેક્ટરીમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ મેળવાયા હતા જે ચેક કરાતાં પાણીની બોટલ વેરાવળ બાંદ્રા ટ્રેન નં.19218માંથી ટ્રેનના એન્જિનમાંથી ફેંકાયાનું દેખાયું હતું. જે આધારે પોલીસની ટીમ તપાસ માટે જેતલસર રેલવે જંક્શન પહોંચી હતી ત્યાંથી વિગત મેળવાતા ટ્રેનના એન્જિનમાં લોકો પાઈલોટ તથા આસિસ્ટન્ટ લોકો પાઈલોટ બેસતા હોવાનું જાણવા મળ્યું હતું જેથી બનાવના દિવસે તા.31ના ટ્રેનમાં કોની ડયુટી હતી તેની માહિતી મેળવાઈ હતી.
પોલીસે લોકો પાઈલોટ તથા આસિ. લોકો પાઈલોટ બન્નેની પૂછપરછ કરી હતી જેમાં આસિસ્ટન્ટ લોકો પાઈલોટ પશ્ચિમ રેલવે-જેતલસર જંક્શન શિવરામ સુલતાનરામ ગુર્જર (ઉ.વ.31) એ ચાલુ ટ્રેને પાણીની બોટલ ફેંક્યાનું ખૂલ્યું હતું જે આધારે શિવરામની શાપર-વેરાવળ પોલીસે ધરપકડ કરી છે. પીઆઈ આર.બી. રાણા સાથે પીએસઆઈ આર.ડી. સોલંકી, એએસઆઈ વિરભદ્રસિંહ વાઘેલા, ક્રિપાલસિંહ રાણા તથા મહેન્દ્રભાઈ ધાંધલ જોડાયા હતા.