વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરામાં પણ સફેદ રણનો નજારો: પ્રવાસીઓ માટે હવે ‘લક્ઝુરિયસ’ સ્ટેની સુવિધા, 44 કોટેજીસ તૈયાર
વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણનો આહલાદક અનુભવ અત્યાર સુધી માત્ર રણોત્સવમાં જ થતો હતો, તેનાથી આગળ વધતા સરકારે વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરામાં પણ પ્રવાસીઓ સફેદ રણનો લક્ઝુરિયસ સુવિધાઓ સાથે અનુભવ કરી શકે તેવા આયોજન કર્યા છે.
વિધાનસભામાં પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં પ્રવાસન વિભાગનો હવાલો આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ધોળાવીરાની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુવિધા માટે પીપીપી ધોરણે 44 જેટલા આધુનિક કોટેજીસ અને ટેન્ટ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રવાસીઓના મનોરંજન અને આરામ માટે રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ, સ્વિમિંગ પૂલ અને ઇન્ડોર ગેમઝોન જેવી વૈશ્વિક સ્તરની સુવિધાઓ વિકસાવવામાં આવી છે.
ધોળાવીરામાં રહેવાની ગુણવત્તાયુક્ત વ્યવસ્થાઓ ઉપલબ્ધ થવાથી પ્રવાસીઓ હવે અહીં વધુ સમય રોકાઈ શકશે, જેની સીધી અસર પ્રવાસન ક્ષેત્રની આવક અને સ્થાનિક રોજગારી પર પડશે. ખાસ કરીને શિયાળાની મોસમમાં જ્યારે પ્રવાસીઓનો ધસારો વધુ હોય છે, ત્યારે આ કોટેજીસ અને ટેન્ટ જેવી સુવિધાઓ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
રણોત્સવથી 17 કરોડથી વધુની આવક
વિધાનસભામાં અન્ય પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, પાછલા બે વર્ષમાં કુલ 1,797,202 પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. જેમાં 2024માં 855,565 અને 2025માં 941,637 પ્રવાસીઓ આવ્યા હતા. આમાંથી પ્રવાસન વિભાગને રૂ. 17,06,35,668ની આવક થઈ છે.
