ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત
3 થી વધુ ઘાયલ; લિઓનિંગ વિસ્તારમાં બની દુર્ઘટના
ચીનની રેસ્ટોરન્ટમાં અચાનક આગ લાગતાં 22 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે ત્રણ ઘાયલ થયા હતા. આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયુ નથી. ચીનના લિયાઓયાંગ શહેરના લિઓનિંગ વિસ્તારમાં આવેલી રેસ્ટોરન્ટમાં અચાનક આગ લાગી હતી.
ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે આગમાં મૃત્યુ પામનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કરી સ્થાનિક સત્તાધીશોને તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી કરવા નિર્દેશ આપ્યા છે. મોતનો આંકડો વધવાની શક્યતા છે. ઓથોરિટીએ આ દુર્ઘટનાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
ચીનની રેસ્ટોરન્ટમાં લાગેલી આગ ઝડપથી પ્રસરી હતી. જેથી લોકોને ભાગવાનો સમય મળ્યો ન હતો. આગએ થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.