20 વર્ષના સંઘર્ષ બાદ ન્યાય તો મળ્યો પણ જીવ બચ્યો નહીંઃ નિર્દોષ છૂટ્યાના ગણતરીના કલાકોમાં જ હૃદય બંધ પડી ગયું
ન્યાય મળવામાં થતો વિલંબ ક્યારેક વ્યક્તિના જીવન પર કેવી ગંભીર અસર કરે છે તેનો જીવતો-જાગતો અને કરુણ કિસ્સો સામે આવ્યો છે. 1997માં માત્ર 20 રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ફસાયેલા અને 20 વર્ષ સુધી કાયદાકીય લડત લડનારા પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ પ્રજાપતિનો ગતરોજ હાઈકોર્ટે નિર્દોષ છુટકારો કર્યો હતો. જોકે, આ ખુશીના સમાચાર સાંભળ્યા બાદ તે જ રાત્રે પાટણના તેમના નિવાસસ્થાને તેમનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે.
વર્ષ 1997માં અમદાવાદના ફરજ બજાવતા નટવરજી સોલંકી પર એક 20 રૂપિયાની લાંચ લેવાનો આક્ષેપ થયો હતો. એસીબી (અઈઇ) એ વિશાલા સર્કલ પાસે પાર્ક થયેલી ટ્રક પાસે ટ્રેપ ગોઠવી તેમની ધરપકડ કરી હતી. વર્ષ 2012માં નીચલી અદાલતે તેમને દોષિત ઠેરવી સજા ફટકારી હતી. આ સજા સામે તેમણે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.નટવરજી સતત 20 વર્ષ સુધી પોતાની નિર્દોષતા સાબિત કરવા
લડતા રહ્યા. આ દરમિયાન તેઓ પોલીસ સેવામાંથી નિવૃત્ત પણ થઈ ગયા હતા. ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતા જણાવ્યું કે, માત્ર 20 રૂપિયા માટે કોઈ પોલીસકર્મી પોતાની કારકિર્દી દાવ પર ન લગાવે અને પુરાવાઓના અભાવે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.
હાશ, હવે હું શાંતિથી મરી શકીશ
મોડી સાંજે વકીલે તેમની ઓફિસમાં બોલાવીને જાણ કરી કે “તમે કેસ જીતી ગયા છો અને નિર્દોષ છૂટ્યા છો”, ત્યારે બાબુભાઈએ એવી પ્રતિક્રિયા આપી હતી કે, હાશ, હવે હું શાંતિથી મરી શકીશ. કમનસીબે ત્યાંથી પાટણના ઘરે ગયા બાદ મોડીરાત્રે અચાનક ગભરામણ થતા અને હૃદયરોગનો હુમલો આવતા હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.
