વાંકાનેર નકલી ટોલનાકા પ્રકરણમાં વઘાસિયાના સરપંચ સસ્પેન્ડ
વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીના અહેવાલ બાદ ડીડીઓ દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ કાર્યવાહી
મોરબી : વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકાની સમાંતર નકલી ટોલનાકું શરૂ કરી બંધ પડેલ સીરામીક ફેક્ટરીમાંથી વાહન પસાર કરવવાના ચકચારી કૌભાંડના આરોપી એવા વઘાસીયા ગામના સરપંચ વિરુદ્ધ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીએ ધગધગતો રિપોર્ટ રજૂ કર્યા બાદ મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ કાર્યવાહી કરી સરપંચ પદે રહેલા જાહેર લોકસેવકે નૈતિકતાનું અધઃપતન કરતા સરપંચને પદ ઉપરથી દૂર કરવા હુકમ કરતા સ્થાનિક રાજકારણમાં ચકચાર જાગી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત ડિસેમ્બર-2023માં વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકાની સમાંતર નકલી ટોલનાકું શરૂ કરી બંધ પડેલ સીરામીક ફેક્ટરીમાંથી વાહન પસાર કરવવાના ચકચારી કૌભાંડમાં વાંકાનેર પોલીસે જાતે ફરિયાદી બની વઘાસીયા ગામના સરપંચ અને આરોપી એવા ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી રિમાન્ડ બાદ જેલ હવાલે કર્યા હોય આ ગંભીર બાબતે વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે રિપોર્ટ બાદ જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિએ સુનાવણી યોજી ન્યાયિક પ્રક્રિયા બાદ સરપંચ પદે રહેલા જાહેર લોકસેવકે નૈતિકતાનું અધઃપતનના કિસ્સામાં ટોલનાકા કેસના આરોપી એવા ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવા હુકમ કર્યો હતો.