રામની રામાયણ : રિવાબા અને નયનાબા વચ્ચે એક બીજાનું નામ લીધા વગર જામી તકરાર
રિવાબાએ કહ્યું કે લોકોએ રામમંદિર મુદ્દે રાજકારણથી ઉપર ઉઠીને વિચારવું જોઈએ.
નયનાબાએ કહ્યું છે કે “અમારે ભક્તિ અને સંસ્કાર તમારી પાસેથી શીખવાની જરૂર નથી.”
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી ગયો છે ત્યારે રાજકોટ અને જામનગરના મોટા ગણાતા જાડેજા પરિવારમાં ફરી તકરાર થઇ છે અને નણંદ -ભાભી આમનેસામને આવી ગયા છે. વિખ્યાત ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ભાજપના ધારાસભ્ય છે જ્યારે તેમના બહેન નયનાબા કોંગ્રેસના આગેવાન છે. રિવાબાએ તાજેતરમાં કહ્યું કે લોકોએ રામમંદિર મુદ્દે રાજકારણથી ઉપર ઉઠીને વિચારવું જોઈએ. તેના જવાબમાં નયનાબાએ કહ્યું છે કે “અમારે ભક્તિ અને સંસ્કાર તમારી પાસેથી શીખવાની જરૂર નથી.”
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે રિવાબાની ટિપ્પણીના જવાબમાં તેમના નણંદ નયનાબાએ જણાવ્યું કે “મંદિર જ્યારે આખું તૈયાર થઈ જાય ત્યારે જ તેની પ્રાણ પ્રતિષ્ઠા થવી જોઈએ.”
માત્ર આટલેથી ન અટકતા નયનાબાએ એમ પણ કહ્યું કે, “સંસ્કાર અને ધર્મની વાતો તમારા મોઢેથી શોભતી નથી.” તેમણે રિવાબાનું નામ લીધા વગર આ પ્રહાર કર્યા છે. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી વખતે પણ નયનાબા અને રિવાબા આમને સામને આવી ગયા હતા કારણ કે બંને એકદમ વિરુદ્ધ રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે.
આ અગાઉ રિવાબાએ રામ મંદિરના નિર્માણનો યશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપતા જણાવ્યું કે, “પાંચસો વર્ષથી જે પ્રશ્ન હતો તે ઉકેલાયો છે. તેથી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજનીતિથી ઉપર વિચારીને આ પ્રસંગને આવકારવો જોઈએ.”