રાજકોટ સહિત ગુજરાતની ૧૫ મહાપાલિકા સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ૨૬ એપ્રિલે મતદાન થવાનું છે. સ્વાભાવિક રીતે જ આચારસંહિતા લાગુ થઈ જતાં મહાપાલિકાઓમાં અધિકારીઓને એક મહિનો શ્વાસ' લેવાનો સમય અચૂક મળી ગયો છે. ચૂંટણી સિવાયઅન્ય’ કોઈ કામગીરી કરવાની ન હોવાથી મનપાના અનેક અધિકારીઓ-કર્મચારીઓ હળવાશની પળ માણવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે ત્યારે આવા જ એક અધિકારી કે જેમની ઓળખ આખાબોલા અને છૂટ'થી બોલનારા અધિકારીઓમાં થાય છે તેમને વળી ચૂંટણીમાં કોણ કેટલી બેઠક જીતશે તેની શરત લગાવવામાંરસ’ પડી ગયો છે ! આ અધિકારી ચૂંટણીમાં ભાજપને કેટલી બેઠક મળશે, કોંગ્રેસને કેટલી બેઠક મળશે અને આમ આદમી પાર્ટીને કેટલી બેઠક મળશે તેનું સચોટ આકલન કર્યા બાદ શરત લગાવવા માટે તૈયાર થઈ જતાં તેમની સામે બેઠેલા લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. સામાન્ય રીતે ચૂંટણીમાં કેટલી બેઠક જીતાશે તેની ચિંતા રાજકીય પક્ષોને હોય છે નહીં કે અધિકારીઓને પરંતુ આ સાહેબને રાજકારણમાં પણ ખાસ્સો રસ પડી રહ્યો હોય તે પ્રકારે કોનું કેટલુ જોર છે તે કારણ સાથે જણાવી રહ્યા છે !! હવે અધિકારીની ગણતરી સાચી પડે છે કે ખોટી તે તો ૨૯ એપ્રિલે આવનારા પરિણામ બાદ ખ્યાલ આવી જશે !
`તમને તો ફાવટ આવી જશે, તકલીફ તો અમને પડશે’: પીઆઇની બદલીમાં કહીં ખુશી કહીં ગમ !
તાજેતરમાં જ રાજ્ય પોલીસવડા દ્વારા ૮૦૦થી વધુ પીઆઈની જિલ્લાફેર બદલીઓ કરવામાં આવી હતી જેમાં રાજકોટમાંથી પણ મહત્તમ પીઆઈ બદલાયા હતા. આ પ્રક્રિયાના ત્રીજા જ દિવસે બદલી પામેલા ત્રણેક પીઆઈ એક ચેમ્બરમાં બેઠેલા જોવા મળ્યા હતા અને એકબીજા સાથે કાનાફૂસી' કરી રહ્યા હતા કે તમને સારી જગ્યાએ પોસ્ટીંગ મળ્યું છે, કામ કરવાની મજા આવી જશે પણ તકલીફ તો અમને પડવાની છે ! વળી, તકલીફ પડવાનું કારણ પણ આપવામાં આવ્યા હતા. મુખ્ય કારણ ઉપરી અધિકારી હોવાનું જણાવી પીઆઈ દ્વારા ઉમેરવામાં આવ્યું કે ભાઈસા'બ આ અધિકારીના તાબા હેઠળ કામ કરવું એટલે ટચલી આંગળીથી ગોવર્ધન પર્વત ઉપાડવા જેવું કપરૂં કામ છે. અત્યાર સુધી અમને આટલુંટફ’ કામ કરવાની ટેવ ન્હોતી અને બધું સરળતાથી પતી જતું હતું પરંતુ હવે એવું નહીં ચાલે. જ્યારે અન્ય જિલ્લામાં બદલી પામેલા અધિકારીઓને એવું પણ કહ્યું હતું કે તમારા ઉપરી અધિકારી ખૂબ જ સારા છે, તમને કામ કરવાની બહુ મજા આવશે અને કામ, દામ, નામ બધું જ મળવાનું છે એટલે તમે નસીબદાર છો ! આ પછી પોલીસ કમિશનર દ્વારા આંતરિક બદલી કરવામાં આવી હતી તેમાં પણ અમુક પીઆઈને મળેલી જગ્યાને લઈને કચવાટ થયાની કાનાફૂસી હાલ પોલીસ વિભાગમાં ચાલી રહી છે !
કાળઝાળ તાપમાં હવે ટ્રાફિક પોલીસ માટે અગ્નિપરીક્ષા જેવા આવ્યા આકરા દિવસો !
ઉનાળો નામ પડતા જ જાણે શરીર પર દાઝવા, લૂં કે તાપનો અહેસાસ થવા લાગે હજુ તો બેઘર ઈફેક્ટને લઈને આ વખતે ક્યારેક ક્યારેક ધૂપ-છાવ જેવો દિવસ થઈ જાય. પણ ઉનાળાના કાળઝાળ દિવસોમાં સવારે ૧૦ વાગ્યે ત્યારથી સાંજ ઢળ્યે છ વાગ્યા સુધી તો વિના કારણે બહાર જવું એ એક સજા જેવું જ લાગે. આવા આકરાં તાપના દિવસોમાં સૌથી કઠીન ડ્યુટી કે અગ્નિપરીક્ષા થઈ પડે તો એ છે ટ્રાફિક પોલીસ. મુખ્ય માર્ગો પર, સર્કલ પર ટ્રાફિક વ્યવસ્થા જાળવણી માટે ટ્રાફિક પોલીસ ઉભી રહે છે. કલાકો સુધી ખડેપગે આવા આકરાં તાપમાં ફરજ બજાવે છે. ટાઢો છાયો હોય તો પણ કલાકો ઉભું રહેવું થોડું આકરૂ તો રહે જ પરંતુ ગરમીમાં તો તોબા-તોબા જ થઈ પડે. ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યારે બે-પાંચ મિનિટ વાહન લઈને ઉભું રહેવું પડે તો પણ ભારે અકળામણ થઈ પડતી હોય છે. જલ્દી સાઈટ સિગ્નલ ખૂલે ને જલ્દી ભાગીએની માફક રાહમાં હોય પરંતુ બાપડા એ ટ્રાફિક પોલીસ કર્મીઓને, વાહનોને તો ત્યાંને ત્યાં જ ખડેપગે રહેવાનુ હોય. રીતસર પરસેવે નીતરતા દેખાતા હોય છે. સારૂ છે કે ગરમીના દિવસોમાં બપોરે ૧થી ૪ના સમયગાળામાં સાઈડ સિગ્નલ્સ રાજકોટ સહિતના શહેરોમાં બંધ કરી દેવાયા છે, નહીં તો ટ્રાફિક પોલીસ કર્મીઓ માટે તો આ ત્રણ કલાક વધુ આકરાં જ પડે. ટ્રાફિક પોલીસની સાથે ટ્રાફિક વોર્ડન પણ આ કાળઝાળ ગરમી સહન કરીને ફરજ બજાવતા હોય છે. રાજિંદા પ્રદૂષણ, ધૂમાડા તો સહેવાના જ. પોલીસની માત્ર નેગેટિવ (કરપ્શન) સાઈડની માફક સિક્કાની બીજી બાજુ જેવી સાઈડ પણ છે એ ન ભૂલવું જોઈએ. એ પણ હકિકત છે કે ટ્રાફિક પોલીસના કેટલા કર્મીઓના અસંખ્ય કે ગેરવર્તાવને લઈને સૌને સહન કરવું પડે છે.
રાષ્ટ્રપતિની મુલાકાત, આંબેડકર જયંતી, ચૂંટણી વગેરે વગેરે: પોલીસ માટે એપ્રિલ `ભારે’
એપ્રિલ મહિનો રાજકોટ પોલીસ માટે ખૂબ જ ભારે મતલબ કે કામથી ભરપૂર રહેવાનો છે. ૧૩ એપ્રિલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ રાજકોટની મુલાકાતે આવી રહ્યા હોય તેના એક દિવસ પહેલાં જ રાજકોટ શહેર-જિલ્લાની પોલીસે દોડતું થઈ જવાનું છે. આ પછીના બીજા જ દિવસે એટલે કે ૧૪ એપ્રિલે ડૉ.બાબાસાહેબ આંબેડકરની જયંતી હોવાથી તેમાં કોઈ જ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખવાનો પડકાર રહેશે. તાજેતરના દિવસોમાં પોલીસ પર થયેલા આક્ષેપો વચ્ચે ઉકળાટ દેખાયો હતો તેની અસર ૧૪ એપ્રિલે ન જોવા મળે તે માટે પોલીસ અત્યારથી જ સાબદી થઈ ગઈ છે અને અકલ્પનીય બંદોબસ્ત કાર્યરત કરવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. આ પછી રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનું મતદાન તેમજ પરિણામ હોય તેમાં પણ કોઈ બનાવ આકાર ન લઈ જાય તે માટે રાત-દિવસ દોડતું રહેવું પડનાર હોવાથી આ મહિનો પોલીસ માટે ભારે રહેશે. આ બધાની વચ્ચે રોજિંદા ક્રાઈમના બનાવો બને એટલે ત્યાં પણ દોટ મુકવી જ પડશે તે નિશ્ચિત છે.
લોકોને ગળે ઉતરે એવો ચૂંટણી ઢંઢેરો જાહેર કરજો !
૨૬ એપ્રિલે રાજકોટ મહાપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી કરવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે ત્યારે ટૂંક સમયમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે એટલે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવશે. દર ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવે છે તેનું ૫૦% પાલન પણ થતું હોય તો બહુ કહેવાશે ત્યારે આ વખતે શહેરીજનો ખોખારો ખાઈને કહી રહ્યા છે કે રાજકીય પક્ષોએ આ વખતે લોકોને ગળે ઉતરો એવો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવો જોઈશે અન્યથા સોશિયલ મીડિયા તેમજ ટેક્નોલોજીના આ જમાનામાં લોકો પણ સમજૂ અને શાણા બની ગયા હોય જરા પણ એમ લાગશે કે ઉલ્લુ બનાવાઈ રહ્યા છે તો તેનો સીધો જવાબ ઈવીએમ થકી મળશે. હવે લોકોને સીધો સ્પર્શે અને સાંભળી-જોઈને વિશ્વાસ બેસે તેવો ચૂંટણી ઢંઢેરો જાહેર કરનાર પક્ષને ફાયદો મળી શકે તે વાત પણ નિશ્ચિત છે બાકી હથેળીમાં ચાંદ બતાડનારાને ફરી જાકારો જ મળવાનો છે.
