ફરી ઘાસલેટનો યુગ આવ્યોસરકારે ભાવબાંધણું કર્યું
રાજ્યના દરેક તાલુકામાં એક પેટ્રોલ પંપ પરથી કેરોસીનનું વેંચાણ થશે: પરિવાર દીઠ ૫ લીટર અને સંસ્થાને ૨૫ લીટર કેરોસીન મળશે
મિડલ ઈસ્ટમાં છેલ્લા દોઢ માસથી અમેરિકા અને ઈરાન વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે જેની સીધી અસર ઇંધણ પર જોવા મળી રહી છે. ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસનો પુરતો સ્ટોક હોવાનું સરકાર દ્વારા અવારનવાર જાહેર કરવામાં આવી રહ્યું છે ત્યારે ગ્રામિણ વિસ્તારમાં એલપીજી રાંધણ ગેસના બાટલાની ભારે અછત જોવા મળી રહી છે જેના પગલે સરકારે ફરી ઘાસલેટનું વેચાણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે અને દરેક તાલુકા મથકે એક પેટ્રોલ પંપ પરથી કેરોસીનનું વેચાણ શરૂ કરવામાં આવશે એટલું જ નહીં સરકારે કેરોસીનનું ભાવ બાંધણુ પણ જાહેર કરી દીધું છે.
અખાતી દેશમાં ચાલી રહેલા યુધ્ધના કારણે ભારતમાં ગ્રામિણ વિસ્તારમાં એલપીજી ગેસની ભારે અચત જોવા મળી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે ફરી કેરોસીનનું વેચાણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.ગુજરાતના બરોડા અને પાણીપુર ખાતે કેરોસીનના જથ્થાના સંગ્રહ માટે બે સ્ટોરેજ ડેપો શરૂ કરવામાં આવ્યા છે જ્યાંથી રાજ્યના દેક તાલુકા મથકે એક પેટ્રોલ પંપ પર કેરોસીનનું વિતરણ કરવામાં આવશે જેના માટે દરેક જિલ્લા મથકે ૯૨૦૦૦ લીટર કેરોસીનની ઓનલાઈન માંગણી મળ્યેથી તાકિદે કેરોસીનનું વિતરણ શરૂ કરવામાં આવશે.
રાજ્ય સરકારે કેરોસીનના વિતરણ માટે આયોજન કર્યું છે તેમાં ગ્રામિણ વિસ્તારમાં પરિવાર દીઠ ૫ લીટર કેરોસીન ફાળવવામાં આવશે. જ્યારે સંસ્થાને ૨૫ લીટર કેરોસીનનો જથ્થો પુરો પાડવામાં આવશે. રાજ્ય સરકારે કેરોસીનના ભાવ પણ નક્કી કર્યા છે જેમાં ટ્રાન્સપોર્ટ અને બીજા ખર્ચને ધ્યાને લઈને પ્રતિ લીટર ૬૧.૪૦થી લઈને ૬૬.૧૪ રૂપિયે કેરોસીનનું વેચાણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યને કુલ ૧૪૫૨ કિલો લીટર કેરોસીનનો જથ્થો ફાળવ્યો છે. જ્યારે રાજ્ય સરકારે તમામ જિલ્લા મથકે ૩૬ કિલો લીટર કેરોસીનની ફાળવણી કરી છે. કેરોસીન ફાળવણી માટેની અરજીઓ ઓનલાઈન સ્વીકારવામાં આવશે જેની વેબસાઈટ પણ કાર્યરત કરી દેવામાં આવી છે.
