ગુજરાતમાં સરકારી વીજ વિતરણમાં વર્ષે સરેરાશ 14 ટકા મોટું નુકસાન!
ગુજરાતમાં સરકારી વીજ વિતરણ કંપનીઓની સ્થિતિ અંગે ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. કેન્દ્રીય વીજળી મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, રાજ્યમાં વીજ ચોરી અને લિકેજીસને કારણે કુલ વીજ વિતરણમાં સરેરાશ 14 ટકા જેટલી મોટી ઘટ નોંધાઈ રહી છે. રાજ્યની ચાર મુખ્ય સરકારી વીજ કંપનીઓમાં નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન સરેરાશ 8.25 ટકા એગ્રીગેટ ટેકનિકલ એન્ડ કોમર્શિયલ (AT&C) લોસ જોવા મળ્યો છે.
અહેવાલ મુજબ, ગુજરાતમાં વીજ વિતરણ દરમિયાન થતું આ નુકસાન અન્ય રાજ્યો જેવા કે કેરળ અને આંધ્ર પ્રદેશની તુલનાએ ઘણું વધારે છે. ખાસ કરીને સેન્ટ્રલ ગ્રીડ દ્વારા અંદાજે 3.5 ટકા અને જેટકોના (GETCO) ટ્રાન્સમિશનમાં 3.5 ટકા મળીને કુલ 7 ટકા જેટલો વીજલોસ માત્ર ટ્રાન્સમિશન પ્રક્રિયામાં જ થઈ રહ્યો છે. આ ઉપરાંત, હાઈપાવર ટ્રાન્સમિશન લાઈનોમાં પણ સરેરાશ 1.99 ટકાનું નુકસાન નોંધાયું છે.
