અમારી હાલત જંગલેશ્વરમાં રહેતા લોકો જેવી, આ વખતે મત માંગવા કોઇ આવતાં જ નહીં
૧૫૦ ફૂટ રિંગરોડ પર ધરમનગર નજીક ઋષિવાટિકા સોસાયટીના રહીશો દેશીદારૂ-નોનવેજ અને ગંદકીના ત્રાસથી ત્રાહિમામ
દારૂડિયાઓ દારૂ પીને ગમે ત્યાં કઢંગી હાલતમાં પડ્યા રહે છે, પોલીસ-મહાપાલિકા બન્નેને જાણ કરી પણ ૂૂકોઈ ડોકાતું જ નથી
રાજકોટ મહાપાલિકાની ચૂંટણી નજીક છે બરાબર ત્યારે જ ઘણા લાંબા સમયથી છુપાયેલુ દર્દ બહાર લાવીને રાજકીય નેતાઓની નસ દબાવી રહ્યા છે સાથે સાથે પોલીસ તંત્રને પણ દોડાવવાનું શરૂ કર્યું છે. મંગળવારે વોર્ડ નં.૧૨ની આર્યમાન સોસાયટીના રહીશોએ ગંદા પાણીના વિરોધમાં થાળી વગાડી વિરોધ કર્યા બાદ બુધવારે વોર્ડ નં.૧માં આવેલી ઋષિવાટિકા સોસાયટીના મહિલાઓએ તંત્રને ઢંઢોળ્યું હતું. આ વિસ્તારમાં દારૂનું વેચાણ સહિતનું દૂષણ હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય આખરે રહેવાસીઓએ આ વખતે કોઈએ મત માંગવા આવવું જ નહીં તેવા બેનર લગાવી વિરોધ નોંધાવ્યો હતો.
આ અંગે વિસ્તારમાં રહેતી મહિલાઓએ રોષ સાથે જણાવ્યું કે ઋષિવાટિકા સોસાયટીની આજુબાજુમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. દારૂડિયાઓ અહીં દારૂ પીને ગમે ત્યાં કોથળી ફેંકી દેતાં હોય બેફામ ગંદકી ફેલાઈ રહી છે. આ ઉપરાંત થોડે જ દૂર નોનવેજનું વેચાણ પણ થઈ રહ્યું હોય તેનો કચરો પણ અહીં જ ફેંકી દેવામાં આવે છે જેના કારણે અહીં ગંદકીના ગંજ ખડકાયેલા છે સાથે સાથે ઉંદર-મચ્છરોનો ઉપદ્રવ પણ અસહ્ય બની ગયો છે.
દારૂડિયાઓ દારૂ પીને ગમે ત્યાં કઢંગી હાલતમાં પડ્યા રહેતા હોવાથી મહિલાઓનું બહાર નીકળવું દુષ્કર બની ગયું છે. એકંદરે ઋષિવાટિકા સહિતની સોસાયટીમાં રહેતા લોકોની હાલત જંગલેશ્વરમાં રહેતા લોકો જેવી થઈ ગઈ હોય આ વખતે મતદાનનો બહિષ્કાર જ કરવાનો નિર્ણય લેવાયો છે.
