સોમનાથ મંદિરનો બહાર જવાનો એક ગેટ બંધ કરતાં વેપારીઓની હડતાળ સમેટાઇ
એસપી અને સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ વચ્ચેની બેઠકમાં સમાધાન
સોમનાથ તા 8
સોમનાથ મંદિર ખાતે આવેલ સોમનાથ શોપિંગ સેન્ટરની છેલ્લા દસ બાર દિવસ થી વિવિધ માંગણીઓ અને સોમનાથ દર્શનાર્થે પધારતા ભાવિકોને દર્શન કરી બહાર નીકળવાનો રસ્તો જે જુના સોમનાથ મંદિર ની સામે હતો. તે રસ્તો અચાનક બંધ કરવામાં આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેથી જુના સોમનાથમાં જતાં દર્શનાર્થીઓ તેમજ સોમનાથ માં વસતા સ્થાનિક વેપારી, રેંકડી, ફુલહાર, શ્રમજીવીઓના અસ્તિત્વ અને રોજીરોટીને માઠી અસર થઈ હતી. આ મુદ્દા ને લઈ સોમનાથ શોપિંગ સેન્ટર અચોક્કસ મુદત ની હળતાલ અને ધરણા ઉપર બેસી ગયા હતા.
આ મામલે જિલ્લા પોલીસ વડા મનોહરસિહ જાડેજાએ પ્રાંત અધિકારી અને ટ્રસ્ટના અધિકારીઓ તેમજ વેપારી આગેવાનો સાથે મિટિંગ યોજી હતી અને આ મિટિંગમાં તમામ સમસ્યાઓ અને રજુઆતને સાંભળી લાગતા વળગતા અધિકારીને યોગ્ય સૂચન કરી, સુખદ નિરાકરણ લાવ્યું હતું. અને પાંચ દિવસમાં જુના સોમનાથ સામેનો બહાર જવનો ગેટ ખોલી આપવા બાહેંધરી આપી હતી. વેપારીને પોતાના ધંધા રોજગાર પર પરત ફરવા અપીલ કરી હતી. જેથી આજ થી સોમનાથ ના તમામ સ્થાનિક વેપારીઓ જિલ્લા પોલીસ વડાના આદેશ ને માન આપી હડતાળ સમેટી લીધી હતી.