હવે BCCIના નામે છેતરપિંડી શરૂ !
બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)માં એન્ટ્રી કરાવી દેવાના નામે છેતરપિંડીના કારસ્તાન વિરુદ્ધ બીસીસીઆઈ સચિવ જય શાહે કાર્યવાહી શરૂ કરી છે. બીસીસીઆઈએ પોતાની રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીમાં પૈસા લઈને પ્રવેશ અપાવવાનો વાયદો કરનારી જાહેરાતો વિરુદ્ધ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે બેંગ્લોરમાં આવેલી એકેડેમીમાં માત્રને માત્ર યોગ્યતાના આધારે જ પ્રવેશ આપવામાં આવે છે. બોર્ડે કહ્યું કે એનસીએમાં ક્રિકેટરોને અપાતી સુવિધાના બદલામાં કોઈ પ્રકારની રકમ લેવામાં આવતી નથી. બીસીસીઆઈના પોતાના નીતિ-નિયમો છે અને તેના આધારે જ પ્રવેશ અપાય છે. અહીં માત્ર બીસીસીઆઈના કોન્ટ્રાક્ટ આધારિત ખેલાડીઓ, નક્કી કરાયેલા ગ્રુપના ખેલાડી અને સ્ટેટ ક્રિકેટ એસો. દ્વારા ભલામણ કરાઈ હોય તેવા ક્રિકેટરોને જ એન્ટ્રી આપવામાં આવે છે. આ સિવાય અહીં કોઈને પણ એન્ટ્રી મળતી નથી.