બેઝબોલ’નો ઘમંડ તૂટ્યો: ‘ભારત સામે ઈંગ્લેન્ડનું સરન્ડર’
અશ્વિન-બુમરાહ સામે પડી ગયા ઘૂંટણીયે: વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ભારતનો ૧૦૬ રને વિજય: શ્રેણી ૧-૧થી બરાબર: હવે ૧૫ ફેબ્રુઆરીથી રાજકોટમાં મુકાબલો
ભારતે ઈંગ્લેન્ડને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ૧૦૬ રને રગદોળી નાખ્યું છે. મુકાબલામાં ભારતે ઈંગ્લેન્ડને જીત માટે ૩૯૯ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેનો પીછો કરતી વખતે ઈંગ્લીશ ટીમ રમતના ચોથા દિવસે ૨૯૨ રને ઓલઆઉટ થઈ હતી. આ જીત સાથે જ ભારતે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ૧-૧ની બરાબરી કરી લીધી છે. હવે બન્ને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ ૧૫ ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.
ભારત વતી બીજી ઈનિંગમાં જસપ્રીત બુમરાહ અને આર.અશ્વિને ત્રણ-ત્રણ વિકેટ ખેડવી હતી. બુમરાહે મેચમાં કુલ નવ વિકેટ મેળવતાં તેને પ્લેયર ઑફ ધ મેચ તરીકે પસંદ કરાયો હતો. આ જીત સાથે જ ભારતે `બેઝબોલ’નો ઘમંડ તોડી નાખ્યો છે કેમ કે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને કહ્યું હતું કે તેની ટીમ ૩૯૯ રનનો લક્ષ્યાંક ૬૦થી ૭૦ ઓવરમાં જ હાંસલ કરવાનો પ્રયાસ કરશે. જો કે તે આવું કરી શક્યા ન્હોતા. ઈંગ્લેન્ડ વતી માત્ર જૈક ક્રાઉલી જ ૫૦ રનના આંકડાને પાર કરી શક્યો હતો.
લક્ષ્યાંકનો પીછો કરવા દરમિયાન ઈંગ્લેન્ડની પહેલી વિકેટ ત્રીજા દિવસે પડી હતી જ્યારે બેન ડકેટ સ્પીનર આર.અશ્વિનનો શિકાર બન્યો હતો. આ પછી રેહાન અહમદને અક્ષર પટેલે, અશ્વિને ઓલી પોપ અને જો રુટને આઉટ કરીને ઈંગ્લેન્ડને પાછળ ધકેલી દીધું હતું. ત્યારબાદ ભારતને સૌથી મોટી સફળતા જૈક ક્રાઉલીના રૂપમાં મળી હતી. લંચ પહેલાં બુમરાહે બેરિસ્ટોને આઉટ કર્યો તો લંચ બાદ બેન સ્ટોક્સ રનઆઉટ થયો હતો. ૨૨૦ રને સાત વિકેટ પડ્યા બાદ બેન ફોક્સ અને ટૉમ હાર્ટલેએ ૫૫ રનની ભાગીદારી કરી પરંતુ તે ટીમને જીત અપાવી શક્યા ન્હોતા. બુમરાહે ફોક્સને આઉટ કરીને આ ભાગીદારીને તોડી નાખતાં ભારતની જીત લગભગ પાક્કી થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે યશસ્વી જયસ્વાલની શાનદાર ડબલ સદીની મદદથી પહેલી ઈનિંગમાં ૩૯૬ રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેડની પહેલી ઈનિંગ ૨૫૩ રને સંકેલાઈ હતી. ભારતે પહેલી ઈનિંગના આધારે ૧૪૩ રનની લીડ લીધા બાદ બીજી ઈનિંગમાં ૨૫૫ રન બનાવતાં ઈંગ્લેન્ડને જીતવા માટે ૩૯૯ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. બીજી ઈનિંગમાં ભારત વતી શુભમન ગીલે સદી બનાવી હતી.
ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારો ભારતીય બોલર બન્યો અશ્વિન
બોલર મેચ વિકેટ
આર.અશ્વિન ૨૧ ૯૭
બી.એસ.ચંદ્રશેખર ૨૩ ૯૫
અનિલ કુંબલે ૧૯ ૯૨
બિશન સિંહ બેદી ૨૨ ૮૫
કપિલ દેવ ૨૭ ૮૫
ગીલ ઈજાગ્રસ્ત, રાજકોટમાં રમવા પર સસ્પેન્સ
રાજકોટમાં ૧૫ ફેબ્રુઆરીથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રમાય તે પહેલાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. બીજા ટેસ્ટની બીજી ઈનિંગમાં સદી બનાવનાર શુભમન ગીલ ઈજાગ્રસ્ત થઈ ગયો છે. બીસીસીઆઈએ સોશ્યલ મીડિયા પર સત્તાવાર નિવેદન આપીને કહ્યું કે બીજા દિવસની રમતમાં ગીલની આંગળીમાં ઈજા પહોંચી હતી એટલા માટે તે ચોથા દિવસે ફિલ્ડિંગ કરવા ઉતર્યો ન્હોતો. ગીલ ઈન્જર્ડ થઈ જતાં સરફરાઝ ખાનને મેદાને ઉતારાયો હતો.
રોહિતે રચ્યો ઈતિહાસ: ધોનીનો રેકોર્ડ તૂટ્યો
ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં જીત સાથે જ રોહિત શર્માએ ઈતિહાસ રચી દીધો છે. તેણે અત્યાર સુધી કોઈ એશિયન કેપ્ટન નથી કરી શક્યો તે કરી બતાવ્યું છે. એટલું જ નહીં ધોની પણ પાછળ છૂટી ગયો છે. રોહિત શર્માની આગેવાનીમાં રમાઈયેલી ૧૩ ટેસ્ટમાં ૭મી જીત છે. રોહિત હવે ધોની કરતા વધુ જીતેલી આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતનો હિસ્સો રહ્યો છે. ધોનીએ ભારતીય ટીમ સાથે ૨૯૫ મેચ જીતી છે તો રોહિતની જીત ૨૯૬મી થઈ ગઈ છે. આ મામલે વિરાટ કોહલીના નામે ૩૧૩ જીત છે અને તે હજુ પણ ટીમ સાથે જોડાયેલો છે.