ધોનીએ IPSને કરાવી ૧૫ દિ’ની સજા !!
અધિકારીએ ધોની ક્રિકેટ સટ્ટામાં સામેલ હોવા સહિતના નિવેદનો આપ્યા’તા
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ધોનીએ એક આઈપીએસ અધિકારીને ૧૫ દિવસની સજા કરાવી છે. ધોનીએ દાખલ કરેલી અરજી પર મદ્રાસ હાઈકોર્ટે ચુકાદો આપતાં આઈપીએસ અધિકારી સંપત કુમારને ૧૫ દિવસની કેદની સજા સંભળાવાઈ છે. બાર એન્ડ બેન્ચના અહેવાલ પ્રમાણે જસ્ટિસ એસ.એસ.સુંદર અને સુંદર મોહનની પીઠે સંપત કુમારને અપીલ દાખલ કરવાની અનુમતિ આપવા માટે સજાને ૩૦ દિવસ માટે મોકુફ પણ રાખી છે.
ધોનીએ કથિત દૂર્ભાવનાપૂર્ણ નિવેદનો અને અહેવાલો પર ઝી-મીડિયા, સંપત કુમાર અને અન્ય વિરુદ્ધ હાઈકોર્ટમાં માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. ધોની તરફથી દાખલ કરાયેલી અરજીમાં કહેવાયું હતું કે તે ૨૦૧૩માં આઈપીએલની મેચોમાં સટ્ટાબાજી અને મેચ ફિક્સિંગમાં સામેલ હતો તેવો આરોપ મુકાયો હતો.
આઈપીએલની ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન ધોનીએ હાઈકોર્ટ તરફથી સંપત કુમાર સહિતના લોકોને અપમાનજનક નિવેદન નહીં આપવા અથવા પ્રસિદ્ધ કરવા પર રોક લગાવવાની માંગ કરી હતી. આ પછી હાઈકોર્ટે સંપત કુમાર, ઝી-મીડિયા તેમજ અન્યને ધોની વિરુદ્ધ માનહાની થાય તેવા નિવેદનો આપવા પર રોક લગાવી હતી. ઉલ્લેખનીય છે કે સંપત કુમારે જ પ્રારંભે આઈપીએલ સટ્ટાબાજીની તપાસ કરી હતી.
ધોનીએ અરજીમાં એવો આરોપ લગાવ્યો કે આઈપીએસ અધિકારીએ સુપ્રીમ કોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટ વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણી કરી છે. તેમની આ હરકત ન્યાયિક પ્રણાલીમાં સામાન્ય માણસના વિશ્વાસને હચમચાવી નાખશે.
ધોનીની જર્સી નંબર ૭' કાયમ માટે નિવૃત્ત મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની જર્સી નંબર
૧૦’ પછી હવે બીસીસીઆઈએ મહેન્દ્રસિંહ ધોનીની જર્સી નંબર `૭’ને કાયમ માટે નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. સીધા શબ્દોમાં કહીએ તો હવે જર્સી નંબર ૭ કોઈ પણ અન્ય ભારતીય ક્રિકેટરને આપવામાં આવશે નહીં. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હવે કોઈ ખેલાડી ૭ નંબરની જર્સી પહેરીને ભારત માટે રમી શકશે નહીં. સામાન્ય રીતે એક ક્રિકેટરને ભારત માટે ડેબ્યુ કરતા પહેલાં પોતાની પસંદગીનો જર્સી નંબર પસંદ કરવાની સ્વતંત્રતા અપાય છે. આઈસીસીના નિયમો પ્રમાણે ખેલાડીને કોઈ પણ નંબર પસંદ કરવાની છૂટ હોય છે પરંતુ હવે ભારતનો કોઈ ખેલાડી જર્સી નંબર ૭ પહેરીને રમશે નહીં.