ઈશાન કિશનની નિષ્ફળ વાપસી
રણજીમાં તો ન જ રમ્યો’ને સીધો ટી-૨૦ ટૂર્નામેન્ટમાં જ ઉતર્યો: ૧૧ દડામાં માંડ ૧૯ રન બન્યા
ઈશાન કિશને આખરે ક્રિકેટમાં વાપસી કરી જ લીધી છે. ઈશાને આફ્રિકા પ્રવાસ વચ્ચે જ બ્રેક લઈ લીધો હતો. આ પછી તેને અફઘાન અને ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર કરી દેવાયો હતો. ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડે સ્પષ્ટ કહ્યું હતું કે નેશનલ ટીમમાં વાપસી કરવા માટે તેણે કોઈને કોઈ પ્રકારનું ક્રિકેટ રમવું જ પડશે. ઈશાન રણજી ટ્રોફીમાં રમ્યો ન્હોતો. રણજીની જગ્યાએ તે આઈપીએલની તૈયારીમાં લાગી ગયો હતો જેને લઈને તેની ટીકા પણ થઈ હતી.
આટઆટલું થયા બાદ આખરે તે ડી.વાઈ.પાટીલ ટી-૨૦ કપમાં રમવા ઉતર્યેા હતો. જો કે તે નિષ્ફળ રહ્યો હતો અને ૧૧ દડામાં ૧૯ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ઈશાન ભારતીય રિઝર્વ બેન્ક તરફથી રમ્યો હતો જે ટીમ ૧૯૩ રનના લક્ષ્યાંકનો પીછો કરી રહી હતી. ઈશાન પહેલાં હાર્દિકે પણ આ ટૂર્નામેન્ટ થકી વાપસી કરી છે. તેણે પોતાના પ્રદર્શનથી ટીમને જીત અપાવી હતી. તેણે ત્રણ ઓવરમાં ૨૨ રન આપીને બે વિકેટ મેળવી હતી.