બાળકોને હોમવર્ક કરવું કેમ નથી ગમતું?
શાળાના હોમવર્કથી દૂર ભાગતા બાળકો પાછળ મોબાઇલની સાથોસાથ વાલી પણ જવાબદાર
શાળાઓમાંથી અપાતાં પ્રોજેક્ટ કાર્ય બાળકની કક્ષા પ્રમાણે આપવા જોઈએ, હાલના તબક્કે બાળકોની બદલે વાલીઓએ પ્રોજેક્ટ કરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે
દિવાળીના 21 દિવસના વેકેશનને ધ્યાનમાં રાખી તમામ વિષયોનું બાળકોને હોમવર્ક શાળા તરફથી અપાશે તેની પાછળનો અભિગમ રજામાં બાળકો અભ્યાસથી દૂર ન થવા જોઈએ
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં શાળાઓમાં 21 દિવસનું વેકેશન પડવાનું છે. વેકેશન દરમિયાન બાળકો અભ્યાસથી દુર ન થાય એટલે શાળા તરફથી દિવાળીનું જુદા જુદા વિષયોનું હોમવર્ક અપાય છે જોકે દરરોજ અપાતા હોમવર્ક કરતા દિવાળીના વેકેશનમાં 21 દિવસને ધ્યાનમાં રાખી થોડું વધુ હોમવર્ક અપાય છે. શાળા સમય દરમિયાન અમુક બાળકોને હોમવર્કથી કંટાળો આવે છે અને ક્યારેક બાળકોને હોમવર્ક કરવું ગમતું નથી તેમના માટે હોમવર્ક કંટાળાજનક બની ગયું છે. આમ છતાં હોશિયાર વિદ્યાર્થીઓ રેગ્યુલર હોમવર્ક કરીને શાળામાં આવતા જ હોઈ છે. બીજી તરફ નબળા વિદ્યાર્થીઓને ક્યારેક ગણિતના વિષયમાં હોમવર્કમાં દાખલા કરવા માટે સૂચના અપાય છે. પરંતુ ગણિતમાં દાખલા ન આવડતા હોય તેવા બાળકો હોમવર્ક વગર સ્કૂલે આવે છે.
હોમવર્કથી બાળકો દુર કેમ ભાગી રહ્યા છે તે પ્રશ્ન ચિંતા જગાવે છે ત્યારે તેની પાછળના અનેક પરિબળો મહત્વનો ભાગ ભજવતા હોઈ છે. તેમાં સૌ પ્રથમ મોબાઈલ પણ જવાબદાર હોઈ છે. આવા સંજોગોમાં વાલીઓએ બાળકોને મોબાઈલ પ્રત્યે પ્રોત્સાહિત ન કરવા જોઈએ અને હોમવર્કને પરાધન્ય આપવું જોઈએ. તેવો સમગ્ર શિક્ષણ આલમનો સુર રહ્યો છે. ક્યારેક બાળકો હોમવર્ક કરવાની બદલે ઘરે મોબાઈલમા ગેમ રમી ટાઇમપાસ કરતા હોઈ છે પરિણામે હોમવર્ક પ્રત્યે ધ્યાન ન આપતાં કંટાળાજનક લાગતું હોઈ છે.
શાળાઓમાં શિક્ષણ કાર્ય બાળકોને કંટાળાજનક લાગે છે. નાના કે મોટા સૌના માટે જ કંટાળાજનક લાગે તે સારુ ન હોય. અત્યારનું ભણતર ભારવાળું લાગી રહ્યું છે. શાળાએ જવુ બાળકોને ગમતું નથી. ગમતું હોય તેવા બાળકોની સંખ્યા ખુબ જ ઓછી છે. સામાન્ય રીતે નાના બાળકોને હોમવર્ક અપાતું નથી આમ છતાં બાળકોને અપાતા હોમવર્કના પગલે ક્યારેક તેમનું બાળપણ છીનવાતું હોય તેમ લાગે છે. બાળકોને ક્યારેક રમવાનો તેમજ ઈતરપ્રવૃત્તિ કે વાંચનનો સમય હોમવર્કના પગલે મળતો નથી અને તેથી તે સાચું બાળપણ માણી સકતા નથી તેવું વાલીઓનું કહેવું છે.
વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી કાર્ય કરવામાં આવે તો ખુબ જ સારુ કરી શકે તેમ છે. એક શાળાએ સ્કૂલના પ્રાર્થના હોલના બ્લેક બોર્ડ ઉપર દરરોજ નવા સુવિચાર અને સારા અક્ષરથી લખવાનું કામ સોંપ્યું જે વિદ્યાર્થીના અક્ષર સારા હોય તેને લખવાનું, બધાજ વિદ્યાર્થીઓ સવારમાં સુવિચાર અને અક્ષર બતાવે તેમાથી એક વિદ્યાર્થીની પસંદગી લખવાં માટે કરવા કરતા બીજા દિવસે બીજા વિદ્યાર્થીઓ પાસે પણ આવો પ્રયત્ન કરવામાં આવે તો શાળાના તમામ વિદ્યાર્થીઓના અક્ષર ખુબ જ સારી રીતે થઈ શકે. વિધાર્થીઓને રસપ્રદ શિક્ષણ કઈ રીતે આપવું એ શિક્ષકેજ વિચારવું જોઈએ. અને તેનું વિશિષ્ટ કાર્ય પણ શિક્ષકે જ તૈયાર કરવું જોઈએ.
શાળાઓમાંથી અપાતા પ્રોજેક્ટ કાર્ય બાળકની કક્ષા પ્રમાણે આપવા જોઈએ જે બાળક પોતે કરી શકે અને તેનો આંનદ બાળક મેળવી શકે. હાલમાં શાળાઓ તરફથી વિદ્યાર્થીને અપાતા પ્રોજેક્ટ વાલીએ તૈયાર કરવા પડે છે. કેટલાક પ્રોજેક્ટમાં મહાપુરુષો, દેશ નેતા, પ્રાણીઓ, પક્ષીઓ સહિતના ચિત્રોને પુસ્તકમાંથી કાપીને ડ્રોઈંગબુકમાં ચોંટાડીને માત્ર નામ લખવાનું કહેવામાં આવે છે. આનો શો અર્થ?? કિંમતી પુસ્તક અને ડ્રોઈંગને નકામું કરવા સિવાય કાંઈ જ નહીં.
એક શાળાના શિક્ષિકાએ બાળકોને પાણી ભરી શકાય તેવા 40 વાસણના નામ અંગ્રેજીમાં લખવાના અને ચિત્રો ચોટાડવાનો પ્રોજેક્ટ આપ્યો. આ પ્રોજેક્ટથી બાળકોએ પોતાના વાલીને જાણ કરી અને પિતાને ફક્ત ચાર – પાચ નામ માંડ માંડ આવડ્યા બાકીના ન આવડતા તેને તેના મિત્રને પૂછ્યું કે ભાઈ પાણી ભરવાના વાસણના નામ બતાવ, શાળામાંથી મારાં બાળકને પ્રોજેક્ટ આપ્યો છે ત્યારે તેના મિત્રએ કહ્યું પ્રોજેક્ટ આપતાં શિક્ષકને પૂછજો કે આ 40 વાસણના નામ તમે જણાવો બીજા દિવસે પિતા બાળકને સાથે લઇ શાળાએ ગયા અને એસી ચેમ્બરમાં બેઠેલા શિક્ષિકાબેનને કહ્યું ત્યારે આ શિક્ષિકાને પરસેવો છૂટી ગયો. અત્યારના શિક્ષણકાર્યને ભારયુક્ત કરવાનું કામ કેટલીક શાળાઓ કરી રહી છે. જે શાળામાં રમવાનું મેદાન, લેબોરેટરી, લાઇબ્રેરી, રમતગમતના સાધનો, ચિત્રખંડ, શૈક્ષણિક લાયકાત ધરાવતો સ્ટાફ જ ન હોય તે શાળાઓ બાળકનું શું ભવિષ્ય ઉજળું કરવાના?
શાળામાં હોમવર્ક ન કરનાર કે મોડા આવનાર બાળકને સજા કરવામાં આવે છે
સામાન્ય રીતે સ્કૂલમાં સવારની શિફ્ટમાં કે બપોરની શિફ્ટમાં બાળક મોડો આવે તો પીટી ટીચર કે અન્ય જવાબદાર શિક્ષક તેને સજા સ્વરૂપે સ્કૂલના મેદાન અથવા કમ્પાઉન્ડ ફરતે રાઉન્ડ લગાવવાની સજા કરવામાં આવતી હોય છે. બીજી તરફ બાળકો હોમવર્ક કરીને ન આવ્યા હોય તો તેઓને વર્ગ ખંડની બહાર બેસાડી દેવામાં આવે છે. આવા સંજોગોમાં બાળકોનું મનોબળ તૂટી જાય છે અને તે નિરાશ થઈ જાય છે. વાત આટલેથી જ અટકતી નથી પરંતુ અમુક શાળાઓમાં બાળકોને હોમવર્ક ન કરવા બદલ મારકૂટ પણ કરાય છે. બીજી તરફ જે હોમવર્ક આપવામાં આવ્યું હોય તે 5 થી 10 વખત લખવાની સ્કૂલમાં જ ફરજ પડાય છે. હોમવર્ક બાળકો કરતાં નથી આ પ્રશ્ન હલ કરવા માટે શાળામા જ થોડો સમય કાઢી લેશન બરાબર કરાવવાની સમજૂતી આપવામાં આવે તો ઘરે કરવાનું હોમવર્ક વિદ્યાર્થીઓ શાળામાં જ કરી શકે અને બાળકને હોમવર્ક બાબતે શિક્ષક વ્યવસ્થિત રીતે સમજાવે અને કોઈપણ પ્રકારની સજા ન કરે કે અન્ય સહપાઠી વિદ્યાર્થી દેખતા તેનું અપમાન ન કરવામાં આવે તો બાળક ભણીગણીને વ્યવસ્થિત હોશિયાર થાય તેવું વાલીઓનું કહેવું છે.