સારંગપુર વિવાદમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંત નૌતમસ્વામીએ શું ખુલાસો કર્યો…સાંભળો
હાલમાં સાળંગપુર ખાતે સ્થાપિત કરવામાં આવેલી કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની મૂર્તિ લઈને વિવાદ ચાલી રહ્યો છે. પ્રતિમાની નીચેના ચિત્રોમાં હનુમાન દાદા સ્વામીનારાયણ સંતોને નમન કરતા હોય તેવું દેખાડવામાં આવ્યું છે. જેના કારણે સનાતન પ્રેમીઓ અને સાધુ-સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્વામીનારાયણના સંત નૌતમ સ્વામીએ કહ્યું છે કે જેને જવાબ જોઈતો હોય તે યોગ્ય ફોરમ પર આવે તેમને જવાબ આપવામાં આવશે.
નૌતમ સ્વામીએ જણાવ્યું છે કે સ્વામીનારાયણ એ ભગવાન છે અને હનુમાનજી મહારાજે અનેકવાર તેમની સેવા કરી છે. સ્વામીનારાયણનો ઈતિહાસ તેનાથી ભરેલો છે.
આ વિવાદ અંગે બોલતા નૌતમ સ્વામીએ જણાવ્યું હતું કે, સ્વામીનારાયણ એ ભગવાન છે. વેદ વ્યાસજીએ પણ તેનું વર્ણન કરે છે. સ્વામીનારાયણના સંતો તેનું પ્રમાણ આપવા માટે પણ તૈયાર છે. તેથી સ્વામીનારાયણના સત્સંગીઓએ આવી નાની બાબતોથી હતોત્સાહ થવાની જરૂર નથી. ગુજરાતની ભૂમિ સ્વામીનારાયણ ભગવાનની ઋણી છે. સ્વામીનારાયણના સાધુ-સંતો દ્વારા ઘણા સેવાના કાર્યો થાય છે. ગુજરાતમાં સુસંસ્કૃત સમાજનું નિર્માણ કર્યું છે. સ્વામીનારાયણ સંપ્રદાયમાં કોઈ ભગવાન કે દેવી-દેવતાનું અપમાન કરવાનો ઈરાદો ક્યારેય હતો નહીં અને છે પણ નહીં. સ્વામીનારાયણ મંદિરોમાં હનુમાનજી અને ભગવાન ગણેશની પ્રતિમાઓ છે. ભગવાનના જેટલા પણ અવતાર થયા તેમાં સ્વામીનારાયણ પણ ભગવાન છે. હનુમાન મહારાજે અનેકવાર સ્વામીનારાયણ ભગવાનની સેવા પણ કરી છે. સ્વામીનારાયણનો ઈતિહાસ તેનાથી ભરેલો છે. જેને પણ પ્રશ્નો હોય તેમણે યોગ્ય ફોરમ પર જવું જોઈએ. નાના લોકોને જવાબ આપવાની જરૂર નથી.
જેમને વિવેકની ખબર નથી તેઓ વિરોધ કરી રહ્યા છેઃ પુષ્પેન્દ્ર પ્રસાદ
હનુમાનજીને સહજાનંદ સ્વામીના બાળ સ્વરૂપ નીલકંઠવર્ણીના દાસ તરીકે દર્શાવવા અંગે ચાલી રહેલા વિવાદ પર ધર્મકુળ પરિવાર તરફથી પુષ્પેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. એક વિડીયો જાહેર કરીને પુષ્પેન્દ્ર પ્રસાદ દ્વારા જણાવાયું હતું કે હનુમાનજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના માતાપિતા ધર્મદેવ અને ભક્તિ માતાના કુળદેવ છે. ધર્મકુળ અયોધ્યાવાસી તરીકે ઓળખાય છે અને અનાદીકાળથી પોતાનો ભગવાન રામચંદ્ર સાથે નાતો રહેલો છે તેવો દાવો કરતા પુષ્પેન્દ્ર પ્રસાદ દ્વારા જણાવાયું હતું કે તેમના જ દાસ હનુમાનજી સાથેનો તેમનો નાતો અનાદિકાળથી રહેલો છે. સહજાનંદ સ્વામી ભગવાન છે કે નથી, સાધુ છે કે સંન્યાસી કે પછી સ્વામી છે તે વાતની સ્પષ્ટતા કરવાની કોઈ જરૂર નથી.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે નીલકંઠવર્ણી ભગવાન 11 વર્ષની વયે વનમાં વિચરણ કરતા હતા ત્યારે અનેકવાર એવો સમય આવતો કે ત્યારે તેમને ભોજન પ્રાપ્ત નહોતું થતું, ત્યારે કુળના દેવ હોવાના કારણે જ્યારે પણ જરૂર પડી ત્યારે હનુમાનજીએ તેમની રક્ષા કરીને તેમને જમાડ્યા છે, ભગવાન શંકર અને પાર્વતીએ પણ પ્રકટ થઈ ભગવાન ઘનશ્યામ મહારાજને જમાડ્યા છે. હનુમાનજી એટલા દયાળું છે કે સામાન્ય માણસને પણ સંકટ પડે ત્યારે તે હાજર થાય છે. 11 વર્ષના એક બ્રહ્મચારી સાધુ વનમાં ફરતા હોય તો તેમને પ્રણામ કરીને જમાડે તે હનુમાનજીનો વિવેક છે, પ્રણામનો અર્થ એ નથી થતો કે તેમણે શાષ્ટાંગદંડવત પ્રણામ કર્યા છે.
વિરોધ કરનારા કોઈ બ્રહ્મચારીને કઈ રીતે આદર અપાય તે જાણી લે તેવું જણાવતા પુષ્પેન્દ્ર પ્રસાદે એમ પણ કહ્યું હતું કે ભગવાન કોઈની સામે હાથ જોડીને ઉભા હોય તેનો મતલબ એ નથી કે તે કોઈનાથી નીચા છે કે કોઈ તેમનાથી ઉંચું છે. જેમને વિવેકની ખબર નથી, જે કંઈ નથી જાણતા અને ખાસ કરીને જે લોકોને આજે મફતમાં ઈન્ટરનેટ મળી ગયું છે અને કંઈ કર્યા વિના પોપ્યુલર થવા માટે વિરોધ કરી રહ્યા છે. અન્ય સંપ્રદાયો અને માન્યતાવાળા આપણી સનાતન સંસ્કૃતિ સામે ના બોલવાનું બોલે છે, તેમની સામે જઈને બોલશો તો તમારી વીરતા દેખાશે તેવું પણ તેમણે પોતાના વિડીયોના અંતમાં જણાવ્યું હતું.
