નાગરિક બેન્કની ચૂંટણીમાં સહકારનો વિજય, સંસ્કારનો પરાજય
મામા સામેની લડાઈમાં ભાણેજ જૂથનો પરાજય
સંસ્કાર પેનલના એકપણ ઉમેદવારને 40 મત પણ ન મળ્યા, દેવાંગ માંકડને સૌથી વધુ 160 મત મળ્યા

રાજકોટ નાગરિક સહકારી બેંકના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં મામા-ભાણેજ પેનલ વચ્ચે સીધા જ ટકરાવ બાદ મંગળવારે હાથ ધરાયેલ મતગણતરીમાં મામાની સહકાર પેનલે ભાણેજ એવા પૂર્વ ચેરમેન કલ્પકભાઇ મણિયારની સંસ્કાર પેનલનો સફાયો કરી નાખી તમામ બેઠકો ઉપર જીત મેળવી હતી. નોંધનીય છે કે, સહકાર પેનલના છ ઉમેદવારો આગાઉ બિનહરીફ વિજેતા થયા હતા.

રાજકોટ નાગરિક સહકારી બેન્કની ચૂંટણી જાહેર થયા પૂર્વે જ બેન્કના સતાધારી પક્ષ સામે પૂર્વ ચેરમેન એવા કલ્પક મણીયાર સમર્થિત જૂથ દ્વારા બેન્ક બચાવો સંઘની સ્થાપના કરી રાજકોટ નાગરિક બેન્કની જૂનાગઢ અને મુંબઈ બ્રાન્ચમાં થયેલા કૌભાંડો મામલે કાગારોળ મચાવતા બેન્કિંગ ક્ષેત્રે ચકચાર જાગી હતી. બીજી તરફ નાગરિક બેંકની ચૂંટણીની જાહેરાત થતા જ છેલ્લા 27 વર્ષથી બિનહરીફ બેઠા થાળે ચૂંટણી યોજવાની ચાલી આવતી પરંપરા તૂટી હતી અને મામા જ્યોતીન્દ્ર મહેતાની સહકાર પેનલ અને ભાણેજ કલ્પક મણીયારની સંસ્કાર પેનલ વચ્ચે ચૂંટણીજંગ શરૂ થયો હતો.

જો કે, રાજકોટ સહિત 7 શહેરમાં મતદાન બાદ મંગળવારે મતપેટીઓ ખુલતાં જ મતગણતરીમાં સહકાર પેનલના જયોતિબેન ભટ્ટ અને કીર્તિદાબેન જાદવએ પ્રચંડ વિજય મેળવ્યો હતો અને ત્યારબાદ જનરલ કેટેગરીના ઉમેદવારોના મતોની ગણતરી શરૂ થઇ હતી. જેમાં સહકાર પેનલના ઉમેદવારો જંગી બહુમતી સાથે ચૂંટાઇ આવ્યા હતા. નાગરિક બેન્કની ચૂંટણીમાં ભાજપના કોર્પોરેટર દેવાંગ માંકડને સૌથી વધુ 160 મતો મળ્યા હતા. બીજી તરફ સંસ્કાર પેનલના તમામ ઉમેદવારોને માંડ 32 થી 37 મત જ મળતા પરાજય સહન કરવો પડયો હતો.
રાજકોટ નાગરિક સહકારી બેંકના નવા સુકાનીઓ
1.માધવભાઈ દવે – 158 મત
2.દિનેશભાઈ પાઠક -154 મત
3.જીવણભાઈ પટેલ -154 મત
4.અશોકભાઈ ગાંધી -152 મત
5.ચંદ્રેશભાઈ ધોળકિયા -157 મત
6.કીર્તિદાબેન જાદવ – 286 મત
7. જ્યોતિ ભટ્ટ – 290 મત
8.હસુભાઈ ચંદારાણા – 156 મત
9.દેવાંગભાઈ માંકડ – 160 મત
10.બ્રિજેશભાઈ મલકાન -150 મત
11.ડૉ. એન.જે. મેઘાણી -151 મત
12.કલ્પેશભાઈ ગજ્જર – 154 મત
13.વિક્રમસિંહ પરમાર – 151 મત
14.ચિરાગભાઈ રાજકોટિયા -148 મત
15.ભૌમિકભાઈ શાહ -150 મત
16. સુરેન્દ્ર પટેલ- અમદાવાદ – બિનહરીફ
17. દીપક બકરાણીયા-મોરબી બિનહરીફ
18. મંગેશજી જોશી- મુંબઈ – બિનહરીફ
19.હસમુખ હિંડોચા- જામનગર – બિનહરીફ
20. લલીત વોરા – બિનહરીફ
21 નવીનભાઈ પટેલ – બિનહરીફ
સંસ્કાર પેનલના પરાજિત ઉમેદવારો – મળેલા મત
1.હિનાબેન બોઘાણી – 038 ( પરાજિત )
2.દિપકભાઈ અગ્રવાલ – 035 ( પરાજિત )
3.જયંતભાઈ ધોળકિયા – 034 ( પરાજિત )
4.દિપકભાઈ કારીયા – 035 ( પરાજિત )
5.વિજયભાઈ કારીયા – 033 ( પરાજિત )
6.પંકજભાઈ કોઠારી – 036 ( પરાજિત )
7.વિશાલભાઈ મિઠાણી- 032 ( પરાજિત )
8.ડૉ. ડી.કે. શાહ – 037 ( પરાજિત )
9.નિતાબેન શેઠ – 032 ( પરાજિત )
10.લલિતભાઈ વડેરિયા (કાલુમામા) – 035 ( પરાજિત )
11. ભાગ્યેશભાઈ વોરા – 037 ( પરાજિત )
સંઘ પરિવારની વિચારધારાનો વિજય : દેવાંગ માંકડ
રાજકોટ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીમાં મતગણતરી બાદ સહકાર પેનલના તમામ ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. જેમાં સૌથી વધુ 160 મતે વિજેતા બનેલા બેન્કના ડિરેક્ટર અને કોર્પોરેટર દેવાંગ માંકડે જણાવ્યું હતું કે, આ સંઘ પરિવારની વિચારધારાનો વિજય છે, સંઘ પરિવાર અને ભાજપના વડીલોના આશીર્વાદથી અમે વિજેતા થયા છીએ, જો કે, બેન્કના ચેરમેન પદ અંગે તેઓએ જણાવ્યું હતું કે, હું ચેરમેન પદની રેસમા નથી વડીલો નક્કી કરશે તે ચેરમેન બનશે સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, ચેરમેન હોદ્દો નહીં પણ જવાબદારી હોય છે અને બોર્ડની બેઠક બાદ ચેરમેન નક્કી થશે.
બેન્કને કૌભાંડ મુક્ત બનાવીને જ જંપીશું : કલ્પક મણીયાર
રાજકોટ નાગરીક બેન્કની ચૂંટણીમાં થયેલા પરાજયને સ્વીકારતા બેન્કના પૂર્વ ચેરમેન અને સંસ્કાર પેનલના સુકાની કલ્પક મણીયારે ચૂંટણી પરિણામો બાદ જણાવ્યું હતું કે, ઉમેદવારો, કાર્યકર્તાઓ તેમજ સમર્થકો સહિત અમો સંપૂર્ણ સંસ્કાર પરિવાર રાજકોટ નાગરિક બેન્કને કૌભાંડ મુક્ત બનાવીને જંપીશું, સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, નાગરિક બેંકમાં સુશાશન તેમજ શુધ્ધિકરણ સંઘર્ષને બદલે સંવાદથી પણ શક્ય છે. જો નવી ટીમ સ્વયાંત અને સ્વતંત્ર સંચાલન કરે અને જુના બહાર નીકળી ગયેલા જોગીઓ રિમોટ કંટ્રોલથી નિર્ણય પ્રક્રિયા ન કરે તો જ આ શક્ય હોવાનું જણાવ્યું હતું. વધુમાં કલ્પક મણીયારના સાથી અને સંસ્કાર પેનલના કો-ઓર્ડીનેટર વીબોધ દોશીએ જણાવ્યું હતું કે,મ દસ લાખથી વધુ લોકોનો વિશ્વાસ ટકી રહેશે તો જ બેન્કનું અસ્તિત્વ સુરક્ષિત છે, ચૂંટાયેલા નવા 21 ડિરેકટરો અભિનંદન સાથે અનિવાર્ય અપેક્ષાને પાત્ર છે.