વોર્ડ નં.૧૬માં અશાંત ધારાનો ઉલાળિયો કરી મિલકતોનું બેફામ વેચાણ: તડાપીટ
વારંવાર ડખ્ખે ચડતું પાણી વિતરણ, ગેરકાયદે બાંધકામનો ઢગલો: ગંદકી, મચ્છરોનો અનહદ ત્રાસ સહિતની ફરિયાદોનો ઢગલો
મહાપાલિકા દ્વારા દરેક વોર્ડમાં લોક દરબારનું આયોજન કરીને સમસ્યા સાંભળવામાં આવી રહી છે. દરમિયાન વોર્ડ નં.૧૬માં આયોજન આ કાર્યક્રમમાં અશાંત ધારાના ભંગની ફરિયાદો આવતાં પદાધિકારીઓ તેમજ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જો કે આ મામલો કલેક્ટર તંત્રને લાગુ હોવાથી હવે તેમનું ધ્યાન દોરવાના પ્રયાસ કરવામાં આવશે. અહીંના રહેવાસીઓએ કહ્યું હતું કે અશાંત ધારા લાગુ પડ્યા બાદ મિલકતોનું બેફામ વેચાણ થઈ રહ્યું છે મતલબ કે વિધર્મીને મકાન-દુકાન સહિત વેચવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત અન્ય ફરિયાદોની વાત કરવામાં આવે તો અહીં સફાઈ, ગંદકી, મચ્છરોનો અનહદ ત્રાસ સહિતની સમસ્યા મોખરે રહેવા પામી હતી. આ ઉપરાંત સોરઠીયાવાડી બગીચાને ડેવલપ કરવા, મેહુલનગરમાં ટીપરવાન અનિયમિત આવતી હોવા, મેહુલનગર-૧માં ઓનલાઈન કરેલી ફરિયાદોનો નિકાલ લાવવા, પરવાનગી વગર ધમધમી રહેલું આઈસ્ક્રીમ પાર્લર બંધ કરાવવા, સ્પીડ બ્રેકર બનાવવા, માધવ હોલ સામેની ફૂટપાથ પરના દબાણ દૂર કરવા, કોઠારિયા મેઈન રોડ પર પૂરતા ફોર્સથી પાણી આપવા, નહેરુનગર-૮માં ગંદકીને કારણે મચ્છરોનો ત્રાસ, નંદા હોલ પાસેના વોંકળામાં અનિયમિત સફાઈ, આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન કાર્ડ નીકળી શકે તે માટે કિટની વ્યવસ્થા કરવા સહિતના પ્રશ્નો તેમજ રજૂઆતો કરવામાં આવી હતી.
વોર્ડ નં.૧૬માં ગેરકાયદે બાંધકામ ખડકાયાની ૬, દબાણો થઈ ગયાની ૮, સફાઈ-ગંદકીની ૨૦, પાણી વિતરણને લગત ૧૧, બાંધકામને લગતી ૨૩ મળી કુલ ૮૮ ફરિયાદો મળી હતી.