સજા પડવાના ડરથી ગોંડલ જેલના બે કેદીનો આપઘાતનો પ્રયાસ
હત્યામાં અને એકને દુષ્કર્મ કેસના રહેલા બન્ને કેદીઓ સાફ સફાઈની કામગીરી વખતે એસીડ પી ગયા
ગોંડલમાં સબ જેલમાં હત્યામાં અને એકને દુષ્કર્મ કેસના બે કાચા કામના કેદીઓ એ પોતાને સજા પડશે તેની ચિંતામાં સજોડે આપઘાતનો પ્રયાસ કરતા બન્નેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે જ્યાં બન્ને ઉપર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
ગોંડલમાં સબ જેલમાં જેતપુરમાં હત્યાના ગુનામાં રહેલા કાચા કામના કેદી ત્રિલોકરાય છોટુરામ ચમાર (ઉ.વ.૨૨) અને ધોરાજીમાં દુષ્કર્મના કેસમાં જેલમાં રહેલા કમલેશ્વર પ્રસાદ વીરેન્દ્રપ્રસાદ ભવાદી (ઉ.વ.૨૫) ટોયલેટ સાફ સફાઈની કામગીરીમાં હતા ત્યારે જેલમાં એસિડ પી લેતા બન્નેને રાજકોટ સારવાર માટે ખસેડાયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ બન્નેને સાફ સફાઈની કામગીરી સોંપવામાં આવી હતી. ગઈ કાલે ત્રિલોક ચમારે પોતાના પરિવારજનો સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને તેઓને જેલમાંથી છોડાવવા માટે કહ્યું હતું. પરંતુ પરિવારજનોએ હાલ જેલમાંથી છોડાવવું શક્ય ન હોય તેવું કહેતા લાગી આવ્યું હતું. જેથી તેને ગઈકાલે એસિડ પી લીધું હતું. જ્યારે અન્ય કેદી કમલેશ્વર ભવાદી દુષ્કર્મ કેસમાં ગોંડલ સબ જેલમાં આવ્યો હતો. જેમાં ભોગ બનનાર દ્વારા હવસખોર કમલેશ્વરની વિરુદ્ધમાં નિવેદન આપતા તેને સજા પડવાની બીક લાગી હતી અને તેના કારણે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.