આજીડેમમાં ડૂબી જતાં બે બાળકીના કરુણ મોત
13 વર્ષની મુમતાઝ પરીહાર અને 12 વર્ષની હીર પરીહારના ડૂબી જવાથી શ્વાસ રૂંધાયાઃ ફાયરબ્રીગેડે મહામહેનતે બન્નેને બહાર કાઢી પરંતુ તે પહેલાં પ્રાણપંખેરું ઉડી ગયું’તુંઃ આટલી નાની ઉંમરે ન્હાવા પડી હશે’ને ડૂબી ગઈ કે પછી બીજું કોઈ કારણ ? તપાસ શરૂ
છલોછલ ભરાઈ ચૂકેલા આજીડેમમાં હચમચાવી નાખે તેવી ઘટના આકાર લઈ જવા પામી છે. સાંજે 5ઃ45 વાગ્યાના અરસામાં બે તરુણી ડૂબી રહી હોવાની જાણ થતાં જ દોડી ગયેલા ફાયરબ્રીગેડે મહામહેનતે બન્નેને બહાર કાઢી હતી. જો કે તે પહેલાં બન્નેના પ્રાણપંખેરું ઉડી ગયા હોવાને કારણે પરિવારમાં કરુણ કલ્પાંત વ્યાપી ગયો હતો.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ 13 વર્ષની મુમતાઝ દિલબહાદુર પરીહાર અને 12 વર્ષની હીર દીપકભાઈ પરિવારના મૃતદેહ આજી ડેમમાંથી મળી આવ્યા છે. આટલી નાની ઉંમરે બાળકી આજીડેમમાં ન્હાવા પડી હશે’ને ડૂબી ગઈ કે પછી બીજું કોઈ કારણ હોઈ શકે તે જાણવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
દરમિયાન સાંજના સમયે આજી ડેમમાં કોઈ ડૂબી રહ્યું હોવાનો કોલ આવતાં જ ફાયરબ્રીગેડનો કાફલો દોડી ગયો હતો અને તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. થોડી જ વારમાં બે બાળકી મળી આવી હતી જેમને બહાર કાઢવામાં આવી હતી. જો કે 108 મારફતે બન્નેને હોસ્પિટલે ખસેડવામાં આવે તે પહેલાં જ સ્થળ ઉપર જ તબિબોએ મૃત જાહેર કરતાં સનસનાટી મચી ગઈ છે. આ બાળકીના ડૂબી જવાને કારણે મોત થયા છે કે પછી કોઈએ આ ઘટનાને અંજામ આપ્યો છે તે જાણવા માટે પોલીસે દોડી જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બન્ને બાળકી ક્યાંની રહેવાસી છે, માતા-પિતા કોણ છે તે સહિતની બાબતે હાલ તપાસ ચાલી રહ્યાનું જાણવા મળી રહ્યું છે.