રાજકોટમાં ત્રણના હાર્ટ એટેકથી મોત
રાજકોટમાં વધુ ત્રણના હાર્ટ એટેક થી મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે.જેમાં પ્રથમ બનાવમાં શાપરમાં ગોલ્ડન કંપનીમાં કામ કરતો મોહમ્મદભાઈ તૈયબભાઈ અંસારી (ઉ.વ.26) નામનો યુવક કંપનીના ક્વાર્ટરમાં હતો ત્યારે હાર્ટ એટેક આવતા પડી જતા તાકિદે યુવકને સારવાર અર્થે દોશી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદ ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવતા અહીં તેનું મોત નીપજ્યું હતું.
બીજા બનાવમાં 150 ફુટ રીંગ રોડ પર ધોળકિયા સ્કૂલની પાછળ એપલવિલા એપાર્ટમેન્ટમાં રહેતાં કલ્પેશભાઈ જેન્તીભાઈ પરસાણા (ઉ.વ.32) નામનો યુવક બપોરના પોતાના ઘરે હતો ત્યારે અચાનક હ્ર્દય રોગનો હુમલો આવતા બેભાન થઈ જતાં તાકીદે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમને મૃત જાહેર કર્યા હતા. ત્રીજા બનાવમાં ભગવતીપરામાં રહેતાં અરવિંદભાઈ દેવજીભાઈ જોગેલ (ઉ.વ.54) તેઓ રાત્રિના પોતાના ઘરે હતા ત્યારે બેભાન થતા તાકીદે તેઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકના પરિવારજને જણાવ્યું હતું કે અરવિંદભાઈને અગાઉ પણ હાર્ટ એટેક આવ્યો હતો. અને ફરીવાર હાર્ટ એટેક આવતાં તેમને સારવારમાં દમ તોડી દિધો હતો.