ઠો -ઠો ! શહેરમાં શરદી-ઉધરસના ઢગલો કેસ, 5ને ડેન્ગ્યુ
રાજકોટમાં 552 સ્થળોએ મચ્છરના કારખાના ! 46,850નો દંડ કરાયો
મહાનગર પાલિકાના ચોંકાવનારા આંકડા :શહેરમાં તાવના 566, ઝાડા-ઉલ્ટીના 517 કેસ
રાજકોટ : રાજકોટમાં સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે રોગચાળો વકર્યો હોવાના આંકડા સામે આવ્યા છે, રાજકોટ મહાનગર પાલિકાએ જાહેર કરેલા સતાવાર આંકડા મુજબ છેલ્લા છ દિવસમાં શહેરમાં શરદી-ઉધરસના 1203 કેસ સામે આવ્યા છે એ કે રીતે તાવ અને ઝાડા-ઉલ્ટીના પણ ઢગલાબંધ કેસો વચ્ચે ડેન્ગ્યુના 5 કેસ સામે આવ્યા છે, સાથે જ મહાનગર પાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળાની રોકથામ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે 552 સ્થળોએ મચ્છરના કારખાના મળી આવતા 46,850નો દંડ કરાયો હતો.
ચોમાસાની સીઝનમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી સતત ધાબડીયા વાતાવરણમાં રોગચાળો વકર્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોગચાળાને કાબુમાં લેવા ઘનિષ્ઠ પ્રયાસો કરી વાહકજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા તા.29 જુલાઈથી 4 ઓગસ્ટના છ દિવસ દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ આરોગ્ય વર્કર, આશા વર્કરની 360 ટિમો મારફતે શહેરમાં કુલ 1,75,973 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી 2726 ઘરોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી.સાથે જ બાંધકામ સાઈટ, હોસ્પિટલ, હોટેલ, ભંગારના ડેલા, પેટ્રોલપંપ, સ્કૂલ, કોલેજ, હોટલ, વાડી સહિતના સ્થળો ચેકીંગ કરતા 384 રહેણાંક અને 168 કોમર્શિયલ સ્થળોએ મચ્છરના ઉત્પાદનકેન્દ્રો જોવા મળતા મહાનગર પાલિકાએ રૃપિયા 46,850 રૂપિયા વહીવટીચરજ વસુલ્યો હતો.
બીજી તરફ સતત વરસાદી વાતાવરણમાં રાજકોટમાં રોગચાળો વકર્યો હોવાનું અને ઘેર-ઘેર માંદગીના ખાટલા પથરાયા છે ત્યારે મહાનગર પાલિકાએ જાહેર કરેલા રોગચાળાના આંકડામાં પણ મોટા ઉછાળા વચ્ચે શહેરમાં શરદી-ઉધરસના 1203 કેસ, તાવના 566, ઝાડા-ઉલ્ટીના 517 કેસ, ટાઈફોઈડના 6 કેસ, ડેન્ગ્યુના 5 અને મેલરીયાનો એક કેસ નોંધાયો હોવાનું જાહેર કર્યું હતું. નોંધનીય છે કે, ચાલુ વર્ષના આઠ મહિના દરમિયાન રાજકોટ શહેરમાં તાવના 29680 અને ચિકનગુનિયાના 17 અને ડેન્ગ્યુના 41 કેસ સામે આવ્યા હતા.