રેલનગરના ૯૦,૦૦૦ લોકોએ ૬૦ દિ’ સુધી વધારા’ના ૩ કિ.મી.ની કરવી પડશેપ્રદક્ષિણા’
ભૂલ ઈજનેરો કરે’ને ભોગવવાનું પ્રજાએ…આ સિલસિલો ક્યારે પૂરો થશે ?
બ્રિજમાંથી બારે માસ નીકળતું પાણી અટકાવવા મહાપાલિકા ૫૬ લાખના ખર્ચે કરશે `વૉટરપ્રુફિંગ’: રેલનગરના લોકોએ ઘર સુધી પહોંચવા હવે માધાપર ચોકડી અથવા પોપટપરાના નાલાનો કરવો પડશે ઉપયોગ
મહાપાલિકા દ્વારા કોઈ વિકાસકાર્ય કરવામાં આવે અને તેમાં કોઈ ક્ષતિ ન રહી જાય કે લોકોએ ભોગવવાનું ન આવે તેવું ક્યારેય બની શકે ખરું ? અત્યાર સુધી લગભગ દરેક કાર્યમાં અનેક પ્રકારની ભૂલો રહી ગઈ છે અથવા તો જાણીજોઈને રાખી દેવામાં આવી હોય છે. આવું જ કંઈક રેલનગર અન્ડરબ્રિજમાં પણ જોવા મળી રહ્યું છે. ૨૦૧૭માં બનાવવામાં આવેલા આ બ્રિજમાં વરસાદ હોય કે ન હોય પરંતુ પાણી નીકળવાનું બંધ જ ન થતાં અનેક વાહન ચાલકો લપસી પડતા હતા તો અકસ્માતો પણ એટલા જ થઈ રહ્યા હતા. આ સમસ્યાને ધ્યાનમાં રાખી મહાપાલિકાએ પાણી નીકળતું બંધ કરવા માટે ૫૬ લાખના ખર્ચે બ્રિજને વોટરપ્રુફિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ તેના કારણે બે મહિના સુધી બ્રિજ બંધ રાખવાનો હોવાથી રેલનગરમાં રહેતાં ૯૦,૦૦૦ લોકોએ વધારાના ત્રણ કિલોમીટર સુધી ફરીને ઘેર પહોંચવું પડશે.
૨૭ સપ્ટેમ્બરે પોલીસ કમિશનર દ્વારા રેલનગર બ્રિજ બંધ કરવા મુદ્દે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. આ પછી મહાપાલિકા દ્વારા જ્યાં સુધી બ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યાં સુધી લોકોને માધાપર ચોકડી અથવા તો પોપટપરાના નાલાવાળા રસ્તાનો ઉપયોગ રેલનગર સુધી પહોંચવા માટે કરવા અપીલ કરવામાં આવી છે. જો કે આ બન્ને રસ્તાનો ઉપયોગ કરવાને કારણે લોકોએ વધારાના ત્રણ કિલોમીટરનું ચક્કર લગાવવું પડશે જેના કારણે ઈંધણ અને સમય બન્નેનો વ્યય થશે ત્યારે તેની ભરપાઈ કોણ કરશે ? તેવો સવાલ પણ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે.
રેલનગર વિસ્તારમાં પાછલા થોડા વર્ષો દરમિયાન રહેણાક મકાનોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે અને આજની તારીખે અહીં ૯૦,૦૦૦ જેટલા લોકો વસવાટ કરતા હોવાનું ધ્યાન પર આવ્યું છે ત્યારે આ તમામ લોકોએ તો વધારાના ત્રણ કિલોમીટરની પ્રદક્ષિણા કરવી જ પડશે સાથે સાથે રેલનગરમાં કોઈ કામસર જનારા લોકોએ પણ વધારાનો રસ્તો કાપવાનો `ડામ’ ખમવો પડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
૫૬ લાખનો ખર્ચ, બે મહિના બ્રિજ બંધ રાખ્યા પછી સમસ્યામાંથી છૂટકારો મળશે ?
રેલનગરના સ્થાનિકોએ રોષભેર જણાવ્યું હતું કે મહાપાલિકા દ્વારા ૫૬ લાખના ખર્ચે વોટરપ્રુફિંગ કરાવવામાં આવી રહ્યું છે જેના માટે બે મહિના સુધી બ્રિજ બંધ રાખવામાં આવનાર છે. શું આટલો ખર્ચ અને ૬૦ દિ’ સુધી બ્રિજ બંધ રાખ્યા પછી પણ અમને સમસ્યામાંથી છૂટકારો મળી શકશે ? જો હવે સમસ્યા દૂર નહીં થાય તો જોયા જેવી થશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.