હોસ્પિટલ ખાલી હોય એટલે દર્દીને ધરાર’ દાખલ રાખવાનો ખેલ !
હદ થઈ ગઈ…ડૉક્ટરોનું એમ્બ્યુલન્સમાં પણ કમિશન
તમારે ફલાણા ટેસ્ટ કરાવવા પડશે, તમારો રિપોર્ટ હજુ સારો નથી આવ્યો, હજુ બે-ત્રણ દિવસ રોકાવું પડશે...આવું કહીને દર્દીને ગોંધી રખાય છે
દર્દી તો ઠીક જ હોય છે પણ હોસ્પિટલની આવકનું ચક્ર ફરતું જ રહે તે માટે ડૉક્ટરો અખત્યાર કરે છે અવનવા હથકંડા
કોઈ દર્દીની ઘેર સાર-સંભાળ રાખવાની હોય તો તેના માટે પણ ડૉક્ટર કમિશન ખાઈને કરી આપે છે સ્ટાફની
વ્યવસ્થા’
રાજકોટમાં જેનેરિક સ્ટોરમાંથી દવા લખી આપનાર ડૉક્ટર કેટલા ? આંગળીના વેઢે ગણી શકાય એટલા
આ સમાચાર જે પણ વાંચક વાંચતા હશે તે બીમાર પડે એટલે ડૉક્ટર પાસે તેને ભગવાન' ગણીને જ જતાં હશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. જો કે હવે વિશ્વાસરૂપી આ સેતુ તૂટી જાય તેવા એક બાદ એક ખુલાસા થઈ રહ્યા હોય તેમાં વધુ એકનો ઉમેરો થવા પામ્યો છે. અત્યાર સુધી આપણે એ જાણતાં હતા કે ડૉક્ટરો દવા કંપની સાથે કમિશનની ટકાવારી કરીને એ જ દવા લખવાનો આગ્રહ રાખે છે.
આ ઉપરાંત લેબોરેટરીઓ સાથે પણ તેમની કમિશનખોરી હોવાનો પર્દાફાશ
વોઈસ ઓફ ડે’ કરી ચૂક્યું છે ત્યારે હવે તો ડૉક્ટરના હૃદયમાં માનવતા જાણે કે મરી-પરવારી હોય તેવી રીતે એમ્બ્યુલન્સમાં પણ કમિશન ખાઈ રહ્યા હોવાની હચમચાવનારી, ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થવા પામી છે. આશ્ચર્યની વાત તો એ છે કે કોઈ હોસ્પિટલ ખાલી થઈ ગઈ હોય અને એકાદ-બે દર્દી દાખલ હોય એટલે ડૉક્ટરો દ્વારા એ દર્દીઓને ધરાર' દાખલ રાખવાનો ખેલ પણ ખેલવામાં આવી રહ્યો હોય છે. શહેરમાં અનેક હોસ્પિટલો એવી કાર્યરત છે જ્યાંના તબીબો રીતસરના વેપારીઓ બની ગયા છે. હોસ્પિટલમાં દાખલ દર્દી સાજું થઈ ગયું હોય અને રજા લઈ શકે તે પ્રકારે ઠીક થઈ ગયું હોવા છતાં તેમને ઘેર મોકલવામાં આવી રહ્યા નથી.
આવું એટલા માટે કેમ કે જો એ દર્દીને ઘેર મોકલી દેવામાં આવે તો પછી આખી હોસ્પિટલ ખાલી પડી જાય અને પછી આવક કેવી રીતે થાય ? આ વાતને ધ્યાનમાં રાખી ડૉક્ટરો દ્વારા તમારે ફલાણો ટેસ્ટ કરાવવો પડશે, તમારો રિપોર્ટ બરાબર નથી આવ્યો, તમારે હજુ બે-ત્રણ દિવસ રોકાવું પડશે તેમ કહીને દર્દીને ગોંધી રાખીને પોતાની આવકનું ચક્ર ફરતું જ રાખે છે. વાત આટલેથી અટકતી નથી. રાજકોટમાં અત્યારે અનેક એવી હોસ્પિટલો ધમધમે છે જેના પાસે પોતાનું એમ્બ્યુલન્સ હોય છે. કોઈ દર્દી દાખલ થયા બાદ સાજું થઈને ઘેર જવાનું થાય એટલે બધાં પાસે પોતાની કારની વ્યવસ્થા હોતી નથી એટલા માટે નાછૂટકે તેમણે એમ્બ્યુલન્સ ભાડે કરાવવી પડે છે.
ખાસ કરીને બહારગામના દર્દી રાજકોટમાં સારવાર મેળવીને પોતાના વતન પરત ફરવા માંગે ત્યારે તેઓ બરાબરના સાણસામાં આવ્યા વગર રહેતા નથી કેમ કે આ લોકોને અહીંના
ખેલ’ સમજ પડતાં હોતાં નથી એટલા માટે તે જે-તે હોસ્પિટલના સ્ટાફને જ એમ્બ્યુલન્સ ભાડે કરાવી આપવા માટેનું કહેતાં હોય છે. જેવી એમ્બ્યુલન્સ ભાડે કરાવવાની વાત આવે એટલે સ્ટાફ દ્વારા ફલાણા-ઢીકણા વ્યક્તિની એમ્બ્યુલન્સ ભાડે કરાવી આપવામાં આવે છે. ત્યારબાદ એમ્બ્યુલન્સના ડ્રાઈવર સાથે દર્દીના પરિવારજનો ભાવતાલ નક્કી કરે છે અને ભાડું નક્કી થયા બાદ તે દર્દી અને તેના સગાને લઈને રવાના થાય છે.
આશ્ચર્યની વાત એ છે કે જ્યારે હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સ ભાડે કરાવી આપવામાં આવે છે ત્યારે ડ્રાઈવર અથવા એમ્બ્યુલન્સના માલિકને એવી મીઠી મીઠી વાતો કરવામાં આવે છે કે આ દર્દીને આપણી હોસ્પિટલમાં ખૂબ જ સારી સારવાર આપવામાં આવી હોવાથી તેઓ સાજા થઈ ગયા છે. હવે તેમને સાજાનરવા તેમના ઘર સુધી પહોંચાડવાના છે એટલા માટે ભાડું થોડું વ્યાજબી લેજો ! આ સાંભળીને દર્દી તેમજ તેના પરિવારજનો પણ ખુશ થઈ જતાં હોય છે કે હોસ્પિટલ દ્વારા તેમનું કેટલું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ! જો કે વાસ્તવિક્તા કંઈક બીજી જ હોય છે અને જેવું એમ્બ્યુલન્સમાં જવાનું નક્કી થાય એટલે ભાડામાંથી અમુક ટકા રકમ ડૉક્ટરને મળતી હોવાની વિગતો જાણકારો પાસેથી મળી રહી છે. ઉદાહરણ તરીકે કોઈ દર્દીને જામનગર જવાનું થાય એટલે એમ્બ્યુલન્સ ચાલક તેના પાસેથી ૩૦૦૦, ૪૦૦૦ અથવા ૫૦૦૦ એમ ભાડું વસૂલતો હોય છે. આ રકમમાંથી અડધોઅડધ રકમ હોસ્પિટલના ડૉક્ટર જમી જતાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
વાત આટલેથી પૂરી થતી નથી. કોઈ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે એટલે ડૉક્ટર દ્વારા એવું કહેવામાં આવે છે કે દર્દીની ઘેર જઈને પણ સારસંભાળ રાખવી પડશે. ઘણા પરિવાર એવા હોય છે જેમાં એક-બે વ્યક્તિ જ હોય છે તેમાંથી એક વ્યક્તિ બીમાર પડે એટલે બીજી વ્યક્તિ ઉપર પહેલી વ્યક્તિની સંભાળ રાખવા ઉપરાંત ઘરની જવાબદારી આવી પડતી હોવાથી દર્દી પાસે ચોવીસેય કલાક રહે તેવી વ્યક્તિની જરૂર પડતી હોય છે. અત્યારે રાજકોટમાં આ પ્રકારે હોમસર્વિસ આપતી અનેક દુકાનો ખૂલી ગઈ છે ત્યારે આવી દુકાને કોઈ વ્યક્તિ ડૉક્ટરની ભલામણ લઈને જાય એટલે તેની પાસેથી ડૉક્ટરના કમિશન સહિતના રૂપિયા લઈ લેવામાં આવતાં હોવાનું બહાર આવી રહ્યું છે. આવા અનેક ધંધામાં ડૉક્ટર ભાગીદાર હોવા છતાં તેના ઉપર કોઈ જ પગલાં લઈ શકતું નથી અને છેલ્લે તો દર્દીએ જ લૂંટાવાનું અને ભોગવવાનું આવી રહ્યું છે.
`વ્યવસ્થા’ કરવા માટે માર્કેટિંગ સ્ટાફ હોય છે !
એવી વિગતો પણ જાણવા મળી રહી છે કે એમ્બ્યુલન્સ ઉપરાંત હોમસર્વિસ માટે કોઈને જરૂર હોય તો તેની વ્યવસ્થા કરવા માટે હોસ્પિટલો દ્વારા જ માર્કેટિંગ સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો છે. આ સ્ટાફ દ્વારા દર્દીના સગાને એવી મધમીઠી વાતો કરીને શીશામાં ઉતારી લેવામાં આવે છે અને ત્યાંથી શરૂ થાય છે કમિશનરૂપી કાળો કારોબાર…જો ડૉક્ટરો આ બધી સેવામાંથી કમિશન લેવાનું બંધ કરી દે તો દર્દીને ઘણી જ રાહત મળી શકે તેમ છે પરંતુ દર્દીઓ અને તેના સગાઓનું દૂર્ભાગ્ય કે સાંજ પડે એટલે હજારો, લાખો રૂપિયા છાપી લેતાં તબીબોને અમુક રકમ પણ જતી કરવાનું સૂઝી રહ્યું નથી !!
ડૉક્ટર તેના દિલ પર હાથ મુકીને કહે, આ બધું તેમને શોભે છે ?
દર્દીઓ ચિત્કાર સાથે કહી રહ્યા છે કે બધાં ડૉક્ટર કમિશનખોર નથી હોતા પરંતુ અમુક ટકા તબીબો એવા હોય છે જેમની પાસે દર્દી આવે ત્યારથી લઈ દર્દી નિદાન કરાવીને બહાર ન નીકળે ત્યાં સુધીમાં કઈ રીતે કેટલું કમિશન લેવું તેનો જ વિચાર આવ્યે રાખતો હોય છે. આવા ડૉક્ટરોને અમે ભગવાનની સાક્ષીએ કહેવા માંગીએ છીએ કે તેઓ એક વખત તેમના દિલ પર હાથ મુકીને કહે કે તમને આ બધું શોભે છે ? શું તમારો માહ્યલો ક્યારેય તમને આવું કરતા રોકતો નથી ? દર્દીઓ ડૉક્ટરને ભગવાન ગણે છે ત્યારે ભગવાન જ જો ખંખેરી લેવાના ખેલમાં સામેલ થઈ જશે તો પણ અમારે ભરોસો મુકવો કોના ઉપર ?