બોર્ડની ઉત્તરવહીની ચકાસણી 11 માર્ચથી શરૂ થશે:69.284 શિક્ષકોને જવાબદારી
રાજ્યના 458 સ્થળોએ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર: દરેક શાળાઓને નિમણૂક પત્ર ઓનલાઈન મળશે, બોર્ડનીપરીક્ષા પૂરી થાય તે પૂર્વે પેપર ચકાસણીનો ધમધમાટ
આગામી તારીખ 27મી ફેબ્રુઆરી થી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાનો પ્રારંભ થશે. પરીક્ષા શરૂ થતાની સાથે જ ગણતરીના જ દિવસોમાં ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી શરૂ થઈ જશે જેના માટે ૪૫૮ જેટલા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે.
પરીક્ષાપત્રના મૂલ્યાંકનની કામગીરી 11 માર્ચથી શરૂ થશે, ગુજરાતમાં કુલ 458 જેટલા સ્થળોએ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. ધોરણ 10 માં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની સંખ્યા 214 જેમાં મુખ્ય નવ વિષય રહેશે અને માઇનર વિષય 28 મળીને કુલ 37 વિષય ની પરીક્ષા લેવામાં આવનાર છે આ માટે 35,510 પરીક્ષકો ઉત્તરવહી તપાસશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 175 સ્થળોએ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો શરૂ કરાયા છે. સામાન્ય પ્રવાહમાં 15 મુખ્ય વિષય અને 48 માઇનર વિષય મળી કુલ 63 વિષયની પરીક્ષા લેવામાં આવશે જેના માટે 25092 પરીક્ષકોને મૂલ્યાંકન કામગીરીમાં જોડવામાં આવ્યા છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 69 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર કાર્યરત કરાશે જેમાં મુખ્ય છ વિષય અને માઇનર તેર વિષય મળી કુલ ૧૯ વિષયની પરીક્ષા લેવામાં આવશે. આ પેપર ની ચકાસણી માટે 8682 નિરીક્ષકોને પેપર ચકાસવાની જવાબદારી આપવામાં આવી છે. આ તમામ પરીક્ષાઓને નિમણૂક પત્ર શાળાઓને ઓનલાઈન મળે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ છે.