ટાગોર રોડ-વિરાણી ચોકમાં બાલાજી ટી-સ્ટોલ-સરગમ પાન સીલ
વારંવાર સફાઈ બાબતે ટપારવા છતાં સુધરતાં ન હોય આખરે આકરી કાર્યવાહી કરતી મનપા
રાજકોટમાં જાહેર રસ્તાઓ ઉપર ગંદકી ફેલાવા પાછળ મહદ અંશે ચા-પાનની દુકાનો જ કારણભૂત હોવાને કારણે દુકાન-હોટેલને સીલ મારવાનું શરૂ કરવામાં આવ્યું છે. આવી જ બે દુકાનને મહાપાલિકાએ સીલ મારતાં ગંદકી ફેલાવતાં ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ટાગોર રોડ પર વિરાણી ચોકથી આગળ આવેલા બાલાજી ટી સ્ટોલ અને સરગમ પાન એન્ડ કોલન્ડ્રીંક્સ દ્વારા મન પડે ત્યાં કચરો ફેંકીને ગંદકી ફેલાવવામાં આવતી હોય અગાઉ બન્નેને નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ દુકાન માલિકો સુધરવાનું નામ જ લઈ રહ્યા ન હોય આખરે બન્ને દુકાનને સીલ મારી દેવામાં આવ્યું છે.
મહાપાલિકાએ કડક શબ્દોમાં તાકિદ કરતા જણાવ્યું છે કે સરકારની નિર્મળ ગુજરાત ૨.૦ કાર્યક્રમ અંતર્ગત શહેરને તેમજ શહેરની બહારના વિસ્તારો, શહેરને જોડતા હાઈ-વે વગેરેને સ્વચ્છ કરવા માટે સઘન કાર્યવાહી ચાલી રહી હોય જાહેરમાં ગંદકી કરતા લોકો તેમજ ધંધાર્થીઓને નોટિસ આપી વહીવટી ચાર્જ વસૂલવા છતાં જો સુધારો ન થાય તો દુકાન-ધંધાનું સ્થળ સીલ કરવા સહિતની આકરાં પગલા લેવામાં આવશે. અગાઉ મનપા દ્વારા આવી ૧૩ હોટેલ-દુકાનોને સીલ લગાવી દેવામાં આવ્યા બાદ આ ઝુંબેશ વધુ ધારદાર બનાવવામાં આવશે.