સ્ટેટ જીએસટી દ્વારા રોલીંગ મિલો સાથે સંકળયેલ ૯ પેઢીઓમાં તપાસ
રૂ. ૩૯૨.૮૩ કરોડના બોગસ બિલોના આધારે રૂ. ૭૦.૭૧ કરોડની ખોટી વેરાશાખ ભોગવેલ હોવાનું સામે આવતા ત્રણની ધરપકડ
અમદાવાદ.: સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલીંગ થકી થતી કરચોરી અન્વયે ઉત્તર ગુજરાતની સ્ટીલ તથા કોપરની ૦૯ રોલીંગ મિલોમાં તપાસની કાર્યવાહી બાદ સ્ક્રેપની બોગસ ખરીદીઓ દર્શાવી મોટાપાયે ખોટી વેરાશાખ ભોગવી કરચોરી કરવામાં આવેલ હોવાનું સામે આવ્યું હતું અને રૂ. ૩૯૨.૮૩ કરોડની ખરીદીઓ દર્શાવી રૂ. ૭૦.૭૧ કરોડની મળવાપાત્ર ન હોય તેવી વેરાશાખ ભોગવેલ હોવાનું જણાતા ત્રણની ધરપકડ કરવામાં આવી હતી,
ખોટી વેરાશાખ ભોગવવી એ જીએસટી કાયદાની કલમ- કલમ-૧૩૨(૧) (સી) હેઠળ ગુનો બનતો હોઇ વિભાગ દ્વારા ત્રણ કેસોમાં આ પેઢીઓના સંચાલકોની સ્પષ્ટ સંડોવણી જણાતા નિલકંઠ એલોયના ભાગીદાર અરવિંદભાઇ વિઠલભાઈ પટેલ, કેપકો એલોય પ્રાઇવેટ લીમેટેડના ડાયરેકટર કૃપેશકુમાર રમેશભાઇ પટેલની તથા પ્રમુખ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર જશ્મીનકુમાર લક્ષ્મણભાઇ પટેલની ઉત્તર ગુજરાત ખાતેથી ઉંડાણપૂર્વકની તપાસ કરવા સારૂ ધરપકડ કરવામાં આવેલ છે. આ ત્રણ પેઢીઓ દ્વારા પ્રાથમિક દૃષ્ટિએ કુલ ૧૯૦.૪૩ કરોડના બિલો મેળવી રૂ. ૩૪.૨૭ કરોડની ખોટી વેરાશાખ ભોગવવામાં આવેલ છે.
અરવિંદભાઇ વિઠલભાઇ પટેલ અને જશ્મીનકુમાર લક્ષ્મણભાઇ પટેલને એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં, અમદાવાદ ખાતે રજુ કરવામાં આવેલ અને જે પરત્વે કોર્ટ દ્વારા તા. ૦૨/૦૭/૨૦૨૪ સુધીના રીમાંડ મંજુર કરવામાં આવેલ છે. સાથે જ કૃપેશકુમાર રમેશભાઈ પટેલની ધરપકડ તા. ૨૭/૦૬/૨૦૨૪ ના રોજ કરવામાં આવેલ છે. એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં, અમદાવદ ખાતે રજુ કરતા તા. ૦૩/૦૭/૨૦૨૪ સુધીના રીમાંડ મંજુર કરવામાં આવેલ હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.