ઉઠમણું ટૂંક સમયમાં દસ્તુર માર્ગની ખાણીપીણી બજારનું
તંત્રએ
વહીવટી’ ચાર્જ લઈને જ અહીં 40 જેટલી ગાડીઓ ઉભી રહેવા દીધી હોવાનું ખુલ્યુંઃ ફરિયાદોનો ઢગલો સરકાર સુધી પહોંચ્યા બાદ તાત્કાલિક બજાર બંદ કરાવવા તૈયારીઃ રહેણાક ઉપરાંત હોસ્પિટલો પણ અહીં આવી હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા’તા
રાજકોટમાં આમ તો અનેક એવી દુકાનો છે જ્યાં આખી રાત ખાણીપીણીની જિયાફત ઉડાવી શકાય છે. જો કે બહુ જૂજ દુકાનો પાસે જ 24 કલાક સુધી દુકાન ખુલ્લી રાખવાનું લાયસન્સ હોય છે આમ છતાં તંત્ર દ્વારા ક્યારેય સચોટ ચેકિંગ કરવામાં આવતું નથી. બીજી બાજુ શહેરના હાર્દસમા ડૉ.દસ્તુર માર્ગ ઉપર ઘણા વર્ષોથી ખાણીપીણીની બજાર ભરાઈ રહી છે. અહીં નાના-નાના વાહનો મારફતે ખાણીપીણીની વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતું પરંતુ તેનું દબાણ અસહ્ય થઈ જતાં અહીં રહેતાં લોકો તૌબા પોકારી ઉઠ્યા હતા અને ઠેર-ઠેર ફરિયાદો પણ કરી હતી પરંતુ કોઈ જ રસ્તો નીકળી રહ્યો ન્હોતો ત્યારે હવે મામલો છેક સરકાર સુધી પહોંચતાં હવે આ બજારના ઉઠમણા' થવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. સામાન્ય રીતે હૉકર્સ ઝોનમાં આ પ્રકારે ખાણીપીણીના વાહનો કે રેંકડીઓને ઉભી રહેવા દેવામાં આવતાં હોય છે. જો કે ડૉ.દસ્તુર માર્ગ પર ક્યાંય પણ મનપા દ્વારા હૉકર્સ ઝોન જાહેર કરવામાં આવ્યો ન હોવા છતાં અહીં ખાણીપીણીનું વેચાણ કરતાં વાહનોને ઉભા રહેવા દેવામાં આવતા હતા. તેના બદલામાં મહાપાલિકા દ્વારા
વહીવટી’ ચાર્જ વસૂલ કરવામાં આવી રહ્યો હતો. આ કારણથી અહીં રહેતાં લોકો અને વેપારીઓ રીતસરના ત્રાહિત થઈ ગયા હતા.
આ વિસ્તારમાં હોસ્પિટલો ઉપરાંત કોલેજ સહિતના સરકારી બીલ્ડિંગ આવેલા છે એટલા માટે આ રોડ ઉપર ખાણીપીણીની બજાર આ રીતે ભરાય તે બીલકુલ વ્યાજબી નથી. આ પ્રકારની ફરિયાદો અનેક વખત અહીંના રહેવાસીઓ તેમજ તબીંબો દ્વારા અલગ-અલગ તંત્રને કરવામાં આવી હતી પરંતુ ભલામણ'ને વશ થયેલા તંત્ર દ્વારા અહીં ક્યારેય કાર્યવાહી કરવામાં આવી રહી ન્હોતી. દરમિયાન તાજેતરમાં જ જિલ્લા કલેક્ટરની ફરિયાદ સહ સંકલન સમિતિ સુધી આ મામલો પહોંચતાં અહીં હોકર્સ ઝોન છે કે કેમ તેવો પ્રશ્ન પૂછવામાં આવતા જ મનપા દ્વારા
ના’ કહેવાઈ હતી !
હવે આટલા વર્ષોથી ગેરકાયદેસર રીતે ફૂડબજાર ધમધમી રહી હોવા છતાં તેને હટાવવામાં નહીં આવતાં સરકાર તરફથી જ બજારને દૂર કરવાનો આદેશ મળ્યો હોવાને કારણે તેની ફાઈલ તૈયાર કરી લેવામાં આવી છે જેનો અમલ ટૂંક સમયમાં જ કરીને રસ્તો ક્લિયર કરાવવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.