સ્માર્ટ મીટર વધારે પૈસા પડાવવાનું સ્માર્ટ યંત્ર : આપ
લોકોનો વિરોધ હોવા છતાં પણ સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવા કલેક્ટરને આવેદન
રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હાલમાં પીજીવીસીએલ દ્વારા ધરાર સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા વીજકંપનીની આ નીતિનો વિરોધ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આમ આદમી પાર્ટીએ સ્માર્ટ મીટર વધારે પૈસા પડાવવાનું સ્માર્ટ યંત્ર હોવાનો આરોપ લગાવી હાલમાં અનેક ગ્રાહકો સ્માર્ટ મીટર લાગી જવાના ડરથી સોલાર પેનલનો લાભ લઈ શકતા ન હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.
આમ આદમી પાર્ટીએ રજુઆતમાં જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટર નો ડર ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની ચિંતા વધારી રહ્યો છે. હાલ નવા કનેક્શન લઇ રહેલા ગ્રાહકો તેમજ સોલાર પેનલ નો લાભ લઈ રહેલા ગ્રાહકો ને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યું છે જેના કારણે સોલાર પેનલનો લાભ લેવા ઈચ્છતા ઘણા લોકો સ્માર્ટ મીટર લાગી જવાના ડરથી લાભ લઈ શકતા નથી. સ્માર્ટ મીટર મુદ્દે લોકોના મનમાં ઘણી બધી શંકાઓ અને ડર છે ખાસ કરી ને સ્માર્ટ મીટરમાં વારંવાર બિલ વધારે આવી રહ્યા ની ફરિયાદો સામે આવી છે, સાથે જ ભવિષ્યમાં ઉર્જા વિભાગ દિવસ કરતા રાત્રિના વીજ વપરાશના ભાવ વધારી શકે છે જે સ્માર્ટ મીટરના કારણે જ શક્ય બને છે.
સ્માર્ટ મીટરથી લાખો રૂપિયાના બિલ આવ્યા હોવાની રાવ પણ ઉઠી હોવાની ફરિયાદો હાલ કોર્ટમાં પેન્ડિંગ પણ છે, વીજ કંપનીના અધિકારીઓ પાસે પૂરતું નોલેજ નથી ખાનગી -કંપનીઓ કામ કરી રહી છે એ ફરિયાદ સાંભળતી નથી. હાલ ખૂબ જ વિરોધ થઈ રહ્યોછે એટલે પ્રિપેઇડ મીટર (એડવાન્સ રિચાર્જ સિસ્ટમ) અમુક સમય પુરતી જ બંધ કરવામાં આવી છે જેવા મીટરો લાગી જશે એવું જ પોસ્ટ પેઇડ સિસ્ટમ બંધ કરી પ્રિપેઇડ સિસ્ટમ ફરજિયાત થશે અને રાત્રે રિચાર્જ ખાલી થઈ જાય તો રાત્રે જ વીજળી ડુંલ થઈ જશે એ પણ નક્કી જ હોવાનું કહી આમ આદમી પાર્ટીએ સ્માર્ટ મીટર લોકો પાસેથી વધારે પૈસા પડાવવા માટેનું સ્માર્ટ યંત્ર હોવાનો આરોપ લગાવી હાલમાં જે સાદા મીટર લાગેલા છે તે યથાવત રાખી સ્માર્ટ મીટર ફરજિયાત કરવા નહિ કરવા માંગ ઉઠાવી હતી.