મંદિરોમાં રાજકારણીઓના હસ્તક્ષેપને લીધે પાપ
દ્વારકાપીઠનાં શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું તિરુપતિના પ્રસાદ વિવાદમાં મોટું નિવેદન
દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ મામલે કહ્યું છે કે, મંદિરના વહીવટમાં રાજકારણીઓનાં હસ્તક્ષેપને લીધે આ પ્રકારના પાપ થાય છે. જો મંદિરનો વહીવટ સાધુ-સંત પાસે હોત તો આવુ ન થાત.
શંકરાચાર્યએ જણાવ્યું કે, “મંદિરોના સંચાલકો જો વિદ્વાન અને સનાતની ધર્મચારી હોત, તો આવું ઘૃણાસ્પદ કૃત્ય અસ્તિત્વમાં ન આવત. ભગવાનની પૂજા અર્ચના વેદોના આધારે થવી જોઈએ.”
તેમણે અસલી હિંદુ અને નકલી હિંદુની વ્યાખ્યા આપતા તિરુપતિ બાલાજી મંદિરના સંચાલકો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. શંકરાચાર્યએ કહ્યું, “પ્રસાદમાં ચરબી સહિત મિલાવટના સમાચાર સામે આવતા દુઃખ થાય છે.”
આ નિવેદન દ્વારા શંકરાચાર્યએ મંદિરોના સંચાલનમાં ધાર્મિક મૂલ્યોના પાલન પર ભાર મૂક્યો છે અને રાજકીય હસ્તક્ષેપની ટીકા કરી છે. તેમનું આ નિવેદન ધાર્મિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો આક્રોશ : સરકારને દાનપેટીના પૈસા ગણવા હોય તો ભલે ગણે પણ વહીવટમાં દાખલ ન કરે
આ મુદ્દા પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું છે કે આ મામલાને ગંભીરતાથી લેવાની જરૂર છે કારણ કે સરકાર આ મામલામાં કંઈ પણ કરવાની નથી.
તેમણે કહ્યું કે આપણે હિંદુ છીએ અને આપણી એક જ ઓળખ છે તે છે પવિત્રતા. ન જાણે ક્યારથી આ પવિત્રતાને ખંડિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે પહેલાના સમયમાં કૂવામાં માંસ નાખી દેવામાં આવતું હતું અને કહેવામાં આવતું હતું કે હવે તમે પવિત્ર નથી રહ્યા અને હિંદુ ધર્મ છોડીને બીજા ધર્મમાં આવી જવું જોઈએ. આ પ્રકારનો પ્રયાસ પહેલા પણ થતો રહ્યો છે, પરંતુ આ મામલો ખૂબ મોટો છે.
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે તિરુપતિ બાલાજી સાથે હજારો કરોડો લોકો જોડાયેલા છે. તે બધાની આસ્થાને ઠેસ પહોંચાડવાનું અને પવિત્રતાને ખંડિત કરવાનું કામ કરવામાં આવ્યું છે. આ કોઈ સામાન્ય નહીં પરંતુ દુર્લભ મામલો છે અને તેના પર તાત્કાલિક તપાસ થવી જોઈએ. જલ્દીથી જલ્દી દોષીને સામે લાવવામાં આવે અને તેને કઠોર સજા થાય.
તેમણે કહ્યું કે ધર્માચાર્યએ પોતાનું દાયિત્વ સંભાળીને ત્યાં ઊભા થઈ જવું જોઈએ કારણ કે સરકાર કંઈ નહીં કરે. તે કોઈ ધાર્મિક પરંપરાઓ નહીં નિભાવે. સરકાર ધર્મનિરપેક્ષતાની શપથ લઈ ચૂકી છે. ધાર્મિક પરિસરમાં વ્યવસ્થા કરવાનો તેમને કોઈ નૈતિક અધિકાર નથી.
શંકરાચાર્યે કહ્યું કે સરકારને દાનપેટીના પૈસા ગણવા છે તો તેમને ગણવા દો. તેમને કોઈ ભૌતિક વ્યવસ્થા કરવી છે તો કરવા દો, પરંતુ ધાર્મિક વ્યવસ્થાઓ ધર્માચાર્યના નિયંત્રણ અને તેમની દેખરેખમાં જ થવી જોઈએ. શંકરાચાર્યે એક મંત્ર પણ બતાવ્યો અને કહ્યું કે અમારા શાસ્ત્રોમાં કોઈ પણ પાપ કે દોષને નષ્ટ કરવાનો ઉપાય લખ્યો છે.
એટલું જ નહીં શંકરાચાર્યે એ પણ કહી દીધું કે ગાય મતદાતા બનવાનો સંકલ્પ લો. કે આવનારા સમયમાં તેમને જ મત આપીશું જે ગાય માતાની પ્રતિષ્ઠા માટે પોતાને સમર્પિત કરી ચૂક્યા હશે. આ બે કામ કરવાથી ગાય માતા તમારા પાપને દૂર કરી દેશે.
શંકરાચાર્યે કહ્યું કે આ તો ષડયંત્ર છે, જે હિંદુઓની પવિત્રતાને ખંડિત કરવા માટે કરવામાં આવી રહ્યું છે. આને સરકારો અને અધિકારીઓ પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે લાખો કરોડ રૂપિયા મંદિરમાં દાન આપવામાં આવે છે, આ છતાં પણ ભક્તોને આ દિવસ જોવો પડ્યો.
તેમણે કહ્યું કે આખરે તિરુપતિ બાલાજીનું ટ્રસ્ટ પોતાની ગૌશાળા ખોલીને કેમ ઘી નથી બનાવતું. તે ઘીથી બાલાજીનો લાડુ બને અને આખા દેશમાં વિતરિત થાય. સામર્થ્ય હોવા છતાં પણ જો તમે તે કામ નથી કરતા તો આ મોટો દોષ થાય છે. તેમણે કહ્યું કે અમારી માંગ છે કે તિરુપતિના ખજાનાને ગાય રક્ષા માટે ખોલવું પડશે.