કોઠારિયાના નાકે દશાશ્રીમાળી વણિક મહાજન ટ્રસ્ટની ૩૭ દુકાનો સીલ
બીજા જ દિવસે ૧૬.૫૫ લાખનો વેરો ભરપાઈ: અપ્સરા એજન્સીએ પણ ૧.૯૦ ચૂકતે કર્યા
દિવાળી પૂર્ણ થતાં જ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા ધોકો પછાડીને વેરો વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત વોર્ડ નં.૭માં કોઠારિયા નાકે આવેલી દશાશ્રીમાળી વણિક મહાજન ટ્રસ્ટની ૩૭ દુકાનોને સીલ મારી દેવામાં આવતાં બાકીદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. દુકાનો સીલ કરાયાના બીજા જ દિવસે રૂા.૧૬.૫૫ લાખનો બાકીવેરો ચૂકતે કરી દીધો હોવાનું તંત્ર દ્વારા જાહેર કરાયું છે. આ ઉપરાંત સાંગણવા ચોકમાં આવેલી અપ્સરા એજન્સીને ત્યાં સીલિંગ કાર્યવાહી કરાતાં જ ફટાફટ ૧.૯૦ લાખનો બાકીવેરો ચૂકતે કરી દેવામાં આવ્યો હતો.
વેરા વસૂલાત શાખા દ્વારા જાહેર કરવામાં આવ્યા પ્રમાણે વર્ષ ૨૦૨૪-૨૫માં તા.૧-૪-૨૦૨૪થી ૮-૧૧-૨૦૨૪ સુધીમાં ૩,૬૬,૪૨૪ કરદાતાઓએ રૂા.૩૦૩.૧૦ કરોડનો વેરો ભરપાઈ કરી દીધો છે.