અનેક મિલકતોની કપાત કરીને સાંઢિયો પુલ નવો બનશે
લાઈન ઑફ પબ્લીક સ્ટ્રીટ જાહેર: પેટા: પરસાણાનગર, ભોમેશ્વર, હુડકો ક્વાર્ટર સહિતના વિસ્તારોમાં મિલકત ધરાવતાં ધારકો પાસેથી વાંધા-સુચનો મંગાવતાં મ્યુનિ.કમિશનર: રાજવી પરિવારની મિલકત પણ કપાતમાં જશે
રાજકોટના વર્ષો જૂના સાંઢિયા પુલની કાયાપલટ કરવા માટે મહાપાલિકા દ્વારા ફાઈલ ઉપરથી ધૂળ ખંખેરવામાં આવી છે. મનપા દ્વારા સાંઢિયા પુલના નવનિર્માણ માટે એલઓપી (લાઈન ઑફ પબ્લીક સ્ટ્રીટ) જાહેર કરી છે જેના કારણે અનેક મિલકતો કપાતમાં જાય તેવી શક્યતા છે. એલઓપી અંતર્ગત સૌથી વધુ મિલકતો પરસાણાનગર, ભોમેશ્વર, હુડકો ક્વાર્ટર સહિતના વિસ્તારોની કપાતમાં જઈ શકે છે. આ માટે મિલકતધારકો પાસેથી વાંધા-સુચનો પણ મંગાવવામાં આવ્યા છે. કપાતમાં જતી મિલકતોમાં રાજવી પરિવારની પણ મિલકત હોય તેના વળતર મુદ્દે વિવાદ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
સાંઢિયા પુલ તેનું આયુષ્ય પૂર્ણ કરી ચૂક્યો છે અને હવે અહીં ભારે વાહનો ચાલી શકે તેમ ન હોવાને કારણે મનપા દ્વારા અહીંથી ભારે વાહનો ન ચાલે તે માટે ગર્ડર મુકી દેવામાં આવ્યા છે. જો કે અહીંથી દરરોજ હજારોની સંખ્યામાં લોકોની અવર-જવર રહેતી હોવાને કારણે કોઈ મોટી દૂર્ઘટના બને તે પહેલાં જ સાંઢિયા પુલને ફોર-લેન બનાવવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અહીં ફોરલેન રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવશે જેથી પુલ નજીક આવેલા પરસાણાનગર, હુડકો ક્વાર્ટર, ભોમેશ્વર પ્લોટ સહિતના વિસ્તારના લોકો અવર-જવર કરી શકે તે માટે ઓવરબ્રિજની દક્ષિણ પશ્ચિમે ૨૬૪.૪૬ ચો.મીની લંબાઈ અને ૧૦.૫૦ મીટરની પહોળાઈ ધરાવતો સર્વિસ રોડ બનાવવામાં આવશે. બીજી બાજુ મહાપાલિકા દ્વારા કપાતમાં જતી મિલકતોના માલિકને વળતર પેટે ચાર વિકલ્પ પણ આપવામાં આવ્યા છે. અહીં જ રાજવી પરિવારની ૭૩૭ ચો.મી. જમીન આવેલી છે જે કપાતમાં જઈ રહી છે.