ગંગામૈયા વિષે ટિપ્પણી કરતા સગર સમાજ લાલઘૂમ
હરિભક્તનો બફાટ ગંગાજીને પવિત્ર કરનાર સ્વામીજી પધારી રહ્યા છે !
સ્વામિનારાયણ સંપ્રદાયના હરિ પ્રબોધમ ગ્રુપના ભક્ત વિરુદ્ધ પગલાં ભરવા માંગ
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો અવારનવાર ભગવાન વિષે અશોભનીય ટિપ્પણી કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના હરિ પ્રબોધમ ગ્રુપના એક હરિભક્ત દ્વારા ગંગાજીને પવિત્ર કરનાર સ્વામીજી પધારી રહ્યા છે તેવું સંબોધન કરતા રાજકોટમાં વસવાટ કરતા સગર સમાજ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ દ્વારા અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ ભક્ત વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવા માંગણી ઉઠાવી હતી.
સગર સમાજ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ દ્વારા અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરતા જણાવવામાં આવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના હરિ પ્રબોધમ ગ્રુપના ભક્ત દ્વારા એક કાર્યક્રમમાં ગંગાજીને પવિત્ર કરનાર સ્વામી પધારી રહ્યા છે તેવો બફાટ કરવામાં આવ્યો છે જેની સામે અમારો સખ્ત વિરોધ છે. ગંગામૈયા ધરતીના કલ્યાણ માટે અવતર્યા હતા અને સગર સમાજના મહાન વંશજ રાજા ભગીરથ ગંગાજીને પૃથ્વી ઉપર લાવ્યા હતા તેના પ્રમાણ પણ રામાયણ, મહાભારત જેવા ગ્રંથોમાં છે.
સગર સમાજ ડેવલોપમેન્ટ ટ્રસ્ટના ચેરમેન આણંદભાઈ કરથીયા તથા આગેવાનોએ જણાવ્યું હતું કે ગંગાજી પહેલેથી જ પવિત્ર છે, ભગવાન શિવજીની જટામાંથી અવતરણ થયું ત્યારથી પવિત્ર છે.ક્યાંય એવો ઉલ્લેખ નથી કે આ સ્વામીએ એમને પવિત્ર કર્યા, છતાં પણ સ્વામિનારાયણના ભક્તો દ્વારા આવા અશોભનીય નિવેદન કરવામાં આવી રહ્યા છે તે યોગ્ય ન હોવાનું અને સગર સમાજ આવા બફાટ ક્યારેય સાંખી નહીં લે તેમ જણાવી ગુસ્તાખી કરનાર સામે કડકમાં કડક પગલાં ભરવા માંગણી કરવામાં આવી હતી. સાથે જ સરકાર દ્વારા પગલાં નહીં લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા રહે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.