RMCના સાઈકલ શેરિંગ’ પ્રોજેક્ટનું અકાળે અવસાન !
૨૦૧૫થી ચાર સ્થળે પ્રોજેક્ટ શરૂ કરાયો'તો, બે બંધ, બે ચાલું જ્યાં માંડ પાંચથી દસ લોકો લ્યે છે
લાભ’
અત્યારે માત્ર રેસકોર્સ-ઈન્દીરા સર્કલે જ ભાડે અપાઈ રહેલી સાઈકલ: ત્રિકોણબાગ-ભક્તિનગરમાં કોઈએ ભાવ' ન પૂછતાં પ્રોજેક્ટ કરાયો બંધ

મહાપાલિકા દ્વારા
મોટાઉપાડે’ પ્રોજેક્ટ તો શરૂ કરી દેવામાં આવે છે પરંતુ તેની જાળવણી કરવામાં તે હંમેશા ઉણી જ ઉતરે છે. આવું જ કંઈક સાઈકલ શેરિંગ પ્રોજેક્ટમાં થવા પામ્યું છે. ૨૦૧૫ના એપ્રિલ મહિનામાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આમ તો તંત્ર દ્વારા સાઈકલ ખરીદી પાછળ એક પૈસાનો ખર્ચ પણ કરવામાં આવ્યો ન્હોતો પરંતુ જે હેતુથી આ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો જે એકાદ-બે વર્ષને બાદ કરતા ધબાય નમ: થઈ ગયો હતો. આજની તારીખે આ પ્રોજેક્ટનું અકાળે અવસાન થયું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ખાસ કરીને સાઈકલ અત્યારે જે પ્રકારે ભંગાર હાલતમાં પડેલી જોવા મળી છે તેને જોતાં સાઈકલપ્રેમીનું હૃદય દુ:ખી થઈ રહ્યું છે.

આ પ્રોજેક્ટ અંગે વાત કરવામાં આવે તો ૨૦૧૫માં મહાપાલિકા દ્વારા દાતાઓના સહયોગથી રેસકોર્સ પાસે કિસાનપરા ચોક, ઈન્દીરા સર્કલ, ત્રિકોણ બાગ અને ભક્તિનગર એમ ચાર સ્થળે ૨૦૦થી વધુ સાઈકલ રાખવામાં આવી હતી. શરૂઆતમાં તો આ પ્રોજેક્ટને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો અને લોકોએ ભાડે સાઈકલ મેળવી પણ હતી પરંતુ જેમ જેમ દિવસો પસાર થતાં ગયા અને મહાપાલિકાનો આ પ્રોજેક્ટ પ્રત્યે `રસ’ ઉડતો ગયો તેમ તેમ સાઈકલ ભાડે લેવાની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો હતો અને અત્યારે તો મહત્તમ સાઈકલ ભંગાર હાલતમાં ભાસી રહી છે.

આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારી પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે રેસકોર્સ ખાતે અત્યારે આ પ્રોજેક્ટ ચાલું છે જ્યાં દિવસમાં દસેક વખત સાઈકલ ભાડે લેવામાં આવી રહી છે. જ્યારે ઈન્દીરા સર્કલ ખાતેથી સાઈકલ ભાડે લેવાની સંખ્યા માંડ ચાર જેટલી રહેવા પામી છે તો ભક્તિનગર અને ત્રિકોણબાગ પાસે સાઈકલ લેવા કોઈ ન આવતાં પ્રોજેક્ટ બંધ કરી દેવામાં આવ્યો હતો. અત્યારે ૧૮૦ સાઈકલ ઉપલબ્ધ છે જેની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જાય છે.
સવારે ૬:૩૦થી ૧૦ અને બપોરે ૪:૩૦થી ૭:૩૦ સુધી લોકો સાઈકલ ભાડે મળે છે જેનું કોઈ ભાડું વસૂલવામાં આવી રહ્યું નથી. મોટાભાગે સવારે મોર્નિંગ વોકમાં આવતાં સાઈકલસ્વારો જ સાઈકલ લેવાનું પસંદ કરી રહ્યા છે.
…તો પછી જગ્યા ખાલી કેમ નથી કરાતી ?
રેસકોર્સ ખાતે અત્યારે બે જગ્યાએ સાઈકલ ભાડે આપવામાં આવી રહી છે પરંતુ બન્ને જગ્યાએ સાઈકલની હાલત જે પ્રકારે છે તેને જોતાં પહેલાં તો સાઈકલને સર્વિસ કરાવવી પડે તેવી હાલત છે. એક પણ સાઈકલમાં હવા હોય તેવું નજરે જોનારાને લાગી રહ્યું નથી તો પડ્યા પડ્યા સાઈકલના ટાયર સડી ગયા છે તો અનેક સાઈકલમાં સીટ રહેવા પામી નથી. આટલી ખરાબ સ્થિતિ હોવાને કારણે લોકો કહી રહ્યા છે કે જો સાઈકલ લેવામાં કોઈ રસ ન લઈ રહ્યું હોય તો પછી આ ભંગાર હટાવીને જગ્યા ખાલી કરવામાં કેમ આવી રહી નથી ?