વીરનગર હોસ્પિટલના ઓપરેશન થિયેટરના સીલ ખોલવા આરોગ્યમંત્રીને રજુઆત
ટ્રસ્ટ ડબ્લ્યુએચઓની ગાઇડલાઇન મુજબ ઓપરેશન થિયેટર બનાવશે
ગરીબો માટે આશીર્વાદરૂપ શિવાનંદ મિશન હોસ્પિટલ માટે રાજ્યમંત્રી કુંવરજીભાઈની હાજરીમાં રજુઆત
રાજકોટ : તાજેતરમાં રાજકોટ જિલ્લાના આટકોટ નજીક આવેલ શિવાનંદ મિશન ટ્રસ્ટ સંચાલિત વીરનગર આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ નવ દર્દીઓને ઇન્ફેક્શનને પગલે દ્રષ્ટિમાં ખામી આવતા ગંભીર બાબતે આરોગ્ય વિભાગે ઓપરેશન થિયેટર સીલ કરી દેતા હાલમાં વીરનગર ખાતે તદ્દન વિનામૂલ્ય કરવામાં આવતા મોતિયોના ઓપરેશન બંધ છે ત્યારે મંગળવારે ગાંધીનગર ખાતે રાજ્યમંત્રી કુંવરજીભાઈની આગેવાનીમાં જસદણ-આટકોટના વેપારી મંડળ, વીરનગરના સરપંચ અને ટ્રસ્ટીઓએ આરોગ્યમંત્રીને રજુઆત કરી ઓપરેશન થિયેટરના સીલ ખોલી આપવા રજુઆત કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે મોતિયોના ઓપરેશન કરી આપી સેવાની જ્યોત જલાવતી શિવાનંદ મિશન હોસ્પિટલ વીરનગર ખાતે મોતિયોના ઓપરેશન બાદ ઇન્ફેક્શનને કારણે 9 દર્દીઓને દ્રષ્ટિમાં ખામી આવતા રાજકોટ અને બાદમાં આમદાવાદ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા બાદ જિલ્લા પંચાયત રાજકોટ અને ગાંધીનગરની આરોગ્ય ટીમોએ તપાસ કરી વીરનગર હોસ્પિટલમાં આવેલ ઓપરેશન થિયેટર સીલ કરી દેતા હાલમાં ગરીબોનો સેવાયજ્ઞ થંભી ગયો છે.
બીજી તરફ અત્યાર સુધીમાં નિઃસ્વાર્થભાવે 9 લાખથી વધુ મોતિયોના ઓપરેશન થિયેટરમાં હાલમાં એક સાથે છ દર્દીઓના ઓપરેશનની સુવિધા છે ત્યારે હોસ્પિટલના ટ્રસ્ટી, વીરનગર સરપંચ, જસદણ અને આટકોટના વેપારી આગેવાનોએ રાજ્યમંત્રી કુંવરજીભાઇ બાવળિયાને સાથે રાખી આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ સમક્ષ રજુઆત કરી ઓપરેશન થિયેટરના સીલ ખોલી આપવામાં આવે તો ડબ્લ્યુએચઓના નોમ્સ મુજબ બબ્બે દર્દીઓના ઓપરેશન થઇ શકે તેવા નવા ઓપરેશન થિયેટર બનાવી બાદમાં આરોગ્ય વિભાગની ચકાસણી અને મંજૂરી બાદ શરૂ કરવામાં આવશે તેવી રજુઆત કરતા આરોગ્યમંત્રી દ્વારા હકારાત્મક અભિગમ સાથે રજૂઆતને સાંભળી નિરાકરણ અંગે ખાતરી આપી હતી.