રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીમાં રાહત
કાળઝાળ ગરમી વચ્ચે વાદળછાયું વાતાવરણ સર્જાયું: મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રીએ પહોંચ્યું
રાજકોટના વાતાવરણમાં રવિવારે પલ્ટો આવ્યો હતો અને સવારથી જ વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી આકરા તાપમાં શેકાતા રાજકોટવાસીઓને ધાબડીયા વાતાવરણને કારણે લોકોને અસહ્ય ગરમીથી આંશિક રાહત મળી હતી. તો બીજી તરફ મહત્તમ તપમાનો પારો પણ ૩૭ ડિગ્રીએ પહોંચી ગયો હતો.
મે મહિનાથી શરૂઆતથી જ રાજકોટ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમી પાડવાનું શરૂ થયું હતું અને મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર થઈ ગયો હતો. તો વળી હવામાન વિભાગે પણ ૬ થી ૮ મે સુધી રાજ્યના કેટલાક શહેરોમાં હીટવેવની આગાહી કરી હતી. આ વચ્ચે રાજકોટમાં રવિવારે સુરજદાદાના આકરા તાપથી મુક્તિ મળી હતી. કાળઝાળ ગરમી વચ્ચે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
રવિવારે મહત્તમ તાપમાનનો પારો નીચે સરક્યો હતો અને મહત્તમ તાપમાન ૪૦.૯ ડિગ્રીએથી ઘટીને ૩૭ ડિગ્રીએ પહોંચ્યું હતું. વાદળછાયા વાતાવરણને કારણે લોકોને આકરા તાપમાંથી મુક્તિ મળી હતી ગરમીમાં આંશિક રાહત મળી હતી.
આ જિલ્લાઓ માટે કરાઇ છે હીટવેવની આગાહી
હવામાન વિભાગ દ્વારા તા.૬ અને તા.૭મીએ પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની શક્યતા દર્શાવાઈ છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે તા.૮ અને ૯મીએ દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તા.૭મીએ અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં તાપમાનનો પારો ૪૨ થી ૪૩ ડિગ્રીએ પહોંચી શકે છે.